નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ડોક્ટરો સાથે વાત કરી હતી. અમિત શાહે ડોક્ટરોને સુરક્ષાની ખાતરી આપી અને તેમને પ્રદર્શન કરવા ન કરવાની અપીલ કરી હતી. શાહે કહ્યું, સરકાર તમારી સાથે છે.


ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ પર થઈ રહેલા હુમલાને લઈ નારાજગી વ્યક્ત કરતા વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી હતી. આઈએમએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય કર્મીઓ સાથે થતી હિંસા બંધ થવી જોઈએ. તમામ ડોક્ટરો અને હોસ્પિટલોને 22 એપ્રિલે રાત્રે 9 વાગે મીણબત્તી સળગાવીને તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે કહ્યું હતું. ઉપરાંત કાળો દિવસ મનાવવાની ચેતવણી પણ આપી હતી.


આઈએમએ કહ્યું કે, જો સરકાર વ્હાઇટ એલર્ટ બાદ પણ ડોક્ટરો પર હિંસા મામલે કેન્દ્રીય કાનૂન લગાવવામાં નિષ્ફળ રહેશે તો આઈએમએ 23 એપ્રિલને કાળો દિવસ જાહેર કરશે. દેશના તમામ ડોક્ટર કાળી પટ્ટી બાંધીને કામ કરશે.

કોરોના વાયરસનું સંકટ દેશમાં સતત વધી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,984 પર પહોંચી છે. જેમાંથી 640 લોકોના મોત થયા છે, જ્યારે 3869 લોકો સાજા થઈ ગયા છે. હાલ 15,474 એક્ટિવ કેસ છે.