નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દીધુ છે, બિલને રજૂ કરતાંની સાથે જ સંસદમાં વિપક્ષોએ હંગામો મચાવવાનુ શરૂ કરી દીધુ હતુ. બિલને રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ અલ્પસંખ્યકોના વિરુદ્ધમાં નથી, તેમને કહ્યું કે તે દરેક સવાલના જવાબ આપવા તૈયાર છે.


અમિત શાહે વિપક્ષને કહ્યું કે, તમે વૉકઆઉટ ના કરી દેતા હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું. વળી, શિવસેનાએ આ બિલનુ સમર્થન કર્યુ હતુ.

કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે.


વિપક્ષના સવાલોના જવાબ આપતા અમિત શાહે કહ્યુ કે હું જે બિલનો પ્રસ્તાવ લઇને આવ્યો છું, તેમાં એવુ કંઇજ નથી જે બંધારણના વિરુદ્ધમાં હોય. આ બંધારણની કોઇપણ કલમની વિરુદ્ધ નથી. એવુ પહેલીવાર નથી કે નાગરિકોને લઇને સરકાર કોઇ નિર્ણય કરી રહી હોય. 1971માં ઇન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે બાંગ્લાદેશથી જેટલા પણ ભાગીને આવેલા લોકો છે તેમને નાગરિકતા આપવામાં આવશે. પાકિસ્તાનમાંથી આવેલા લોકોને કેમ નથી આપી?


વિપક્ષની સાથે અસદુદ્દીન ઔવેસીએ પણ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. ઔવેસીએ કહ્યું કે, ધર્મનિરપેક્ષતા બંધારણના પાયા છે. દેશના આવા કાયદાથી બચાવી લો, મુસલમાન પણ આ દેશનો ભાગ છે.


શું છે નાગરિકતા સંશોધન બિલમાં....

બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.

બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.


રાજ્યસભામાં પડી શકે છે મુશ્કેલી....
રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે.