પશ્ચિમ બંગાળની કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને 22 ફેબ્રુઆરી સુધીમાં રૂબરૂમાં અથવા તો કોઈ વકીલ દ્વારા હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ દાખલ કરેલા બદનક્ષી કેસમાં ગૃહમંત્રી અમિત શાહને કોર્ટનું તેડુ આવ્યું છે. અમિત શાહે બેનરજીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા.


ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ અમિત શાહની સામે બદનીક્ષનો કેસ દાખલ કર્યો હતો અને તેના સંદર્ભમાં કોર્ટે ગૃહમંત્રી અમિત શાહને સમન્સ પાઠવ્યું છે. અમિત શાહ સામેના બદનક્ષી કેસની સુનાવણી કરતા ડેઝિગ્નેટેડ કોર્ટે જણાવ્યું કે ઈન્ડીયન પીનલ કોડની કલમ 500 હેઠળ બદનક્ષી કેસ સંબંધિત કેટલાક સવાલના જવાબ આપવાના હોવાથી અમિત શાહે રુબરુમાં હાજર થવું પડે તેમ છે. અમિત શાહ ઈચ્છે તો કોઈ પ્રતિનિધિ પણ કોર્ટમા મોકલી શકે છે.

11 ઓગસ્ટ 2018 ના દિવસે ભાજપની યુવા સ્વાભિમાન રેલીમાં અમિત શાહે અભિષેક બેનરજીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યાં હતા. પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપથી ખળભળી ઊઠેલા ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ અમિત શાહની સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો.

બદનક્ષીના દાવામાં બેનરજીએ જણાવ્યું હતું કે કોલકાતા ખાતેની રેલીમાં અમિત શાહે જણાવ્યું હતું કે નારદા, શારદા, રોસ વેલી, સિન્ડીકેટ કરપ્શન, ભત્રીજાનો ભ્રષ્ટાચાર અને મમતાના બીજા ઢગલાબંધ ભ્રષ્ટાચારના આરોપ ગણાવ્યા હતા. અમિત શાહે રેલીમાં કહ્યું હતું કે, બંગાળના ગામના રહેવાશીઓ, શું તમારા ગામમાં પૈસા પહોંચ્યાં છે ? કૃપા કરીને મોટેથી કહો. શું તમારા ગામમાં પૈસા પહોંચ્યા છે? આ પૈસા ક્યાં ગયા ?ક્યાં ?મોદીજીએ મોકલ્યા છે. રુ. 3,59,000 કરોડ ક્યાં ગયા. આ પૈસા ભત્રીજાની ગેંગને મળ્યાં છે.