નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 39 કેસ સામે આવી ચુક્યા છે. રવિવારે કેરળમાં પાંચ નવા દર્દીઓમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી ત્રણ દર્દીઓ તાજેતરમાં જ ઈટલીથી પાછા આવ્યા હતા. કોરોના વાયરસને લીધે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશે વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.


અરુણાચલ પ્રદેશ સરકારે રવિવારે વિદેશીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમીટ (પીએપી) આપવાનું કામચલાઉ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના મુખ્ય સચિવ નરેશ કુમારે બધા PAP જારી કરનારા અધિકારીઓને આગળના આદેશો સુધી પરમિટ્સના મુદ્દાને સ્થગિત રાખવા નિર્દેશ આપ્યો છે. PAP વિદેશીઓને ચાઇનાની સરહદવાળા રાજ્યમાં પ્રવેશવા માટે આપવામાં આવે છે.

કોરોના વાઈરસના સંક્રમણની તપાસ કરવા માટે દેશભરમાં 52 લેબ બનાવાઈ છે. જેમાંથી 2 દિલ્હીમાં છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે સ્વાસ્થ્ય અને શોધ વિભાગ સાથે મળીને આ લેબ બનાવી છે.