Arvind Kejriwal Bail: છેલ્લા 156 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. દિલ્હીના સીએમને જામીન મળ્યા બાદ તેમની પાર્ટી આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો માહોલ છે. કેજરીવાલને જામીન મળ્યા બાદ AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે.






મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે  આજે ફરી જૂઠ અને ષડયંત્ર સામેની લડાઈમાં સત્યની જીત થઈ છે. ફરી એકવાર હું બાબા સાહેબ આંબેડકર જીની વિચારસરણી અને દૂરદર્શિતાને નમન કરું છું, જેમણે 75 વર્ષ પહેલાં સામાન્ય માણસને ભવિષ્યના કોઈપણ સરમુખત્યાર કરતાં વધુ મજબૂત કરી દીધો હતો.






દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીના સીએમને જામીન મળવા પર કહ્યું હતું કે  'આજના અખબારોમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 40 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને આજે ફક્ત 2 લોકો જેલમાં છે, તેથી જામીન મળવાનું નિશ્ચિત હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની તપાસ એજન્સીઓ વિશે જે કહ્યું તે કેન્દ્રની મોટી ટીકા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી મને લાગે છે કે જો કેન્દ્રમાં થોડી પણ શરમ હોય તો કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.


દિલ્હી બીજેપી ચીફ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે  'કેજરીવાલને ભલે જામીન મળી ગયા હોય, પરંતુ તેમને મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. જ્યારે તેઓ મુખ્યમંત્રીનું કામ કરી શકતા નથી તો પછી તેઓ મુખ્યમંત્રી કેમ છે? જો તેઓ સાચા હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.


અરવિંદ કેજરીવાલને જામીન મળવા પર તેમના પત્ની સુનીતા કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને અભિનંદન આપતા પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "આપ પરિવારને અભિનંદન! મજબૂત રહેવા માટે અભિનંદન. હું આપણા અન્ય નેતાઓ જલદી મુક્ત થાય તે માટેની પ્રાર્થના કરું છું