Arvind Kejriwal Bail: દિલ્હી દારૂ નીતિ સાથે સંબંધિત સીબીઆઈ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે (13 ઓગસ્ટ) જામીન મળી ગયા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈ (CBI)ની ધરપકડને નિયમો હેઠળ ગણાવી છે. સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલને જામીન આપતા જસ્ટિસ ભુઇયાંએ મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી.


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપતા જસ્ટિસ ભુઇયાંએ ચુકાદો વાંચતી વખતે એ પણ કહ્યું, "સીબીઆઈની ધરપકડ કદાચ માત્ર ઈડી કેસમાં કેજરીવાલને જામીન આપવામાં અવરોધ નાખવા માટે કરવામાં આવી હતી. જામીન મળ્યા છતાં કેજરીવાલને જેલમાં રાખવું એ ન્યાયની મજાક ઉડાવવા જેવું હશે. ધરપકડની શક્તિનો ઉપયોગ ખૂબ વિચારપૂર્વક કરવો જોઈએ."


જામીન નિયમ છે અને જેલ અપવાદ -  સુપ્રીમ કોર્ટ


જસ્ટિસ ભુઇયાંએ કહ્યું, "મારું તારણ સમાન છે. હું ધરપકડની જરૂરિયાત વિશે વાત કરીશ. એ ધારણા બદલવી જોઈએ કે સીબીઆઈ પાંજરામાં બંધ પોપટ છે." જસ્ટિસ ભુઇયાંએ અરવિંદ કેજરીવાલની ધરપકડના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જસ્ટિસ ભુઇયાં બોલ્યા, "જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. બધી અદાલતોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અભિયોજન અને મુકદ્દમાની પ્રક્રિયા પોતે જ સજાનું સ્વરૂપ ન બની જાય."


ધરપકડની રીત પર SC એ પ્રશ્નો ઉઠાવ્યા


પોતાના ચુકાદામાં જસ્ટિસ ભુઇયાંએ સીબીઆઈ તરફથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાના સમય અને રીત પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "અસહકારનો અર્થ પોતાને દોષિત ઠેરવવો એવો ન હોઈ શકે. આથી આ આધારે સીબીઆઈ તરફથી કેજરીવાલની ધરપકડ અસ્વીકાર્ય માનવામાં આવે છે."


મેજિસ્ટ્રેટની મંજૂરીથી બીજા કેસમાં અટકાયતમાં લેવું કોઈ ખોટું નથી


જસ્ટિસ સૂર્યકાંતે ચુકાદો વાંચતા કહ્યું, 'કેસમાં 3 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. અમે ધરપકડની કાયદેસરતા અને મુક્તિની અરજી પર વિચાર કર્યો છે. એ પણ જોયું છે કે ચાર્જશીટ દાખલ થઈ જવાથી શું ફરક પડ્યો છે. ન્યાયિક હિરાસતમાં રહેતા મેજિસ્ટ્રેટની મંજૂરીથી બીજા કેસમાં પોલીસ અટકાયતમાં લેવામાં કોઈ ખોટું નથી.’


નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેંચે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂને CBIએ ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે અગાઉની સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.


આ પણ વાંચોઃ


સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે