Arvind Kejriwal Meets Uddhav Thackeray:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (24 ફેબ્રુઆરી) ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. અરવિંદ કેજરીવાલ મહારાષ્ટ્રના પૂર્વ સીએમને મળવા માતોશ્રી પહોંચ્યા હતા. કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, AAPના રાજ્યસભાના સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. 2024ની ચૂંટણીમાં વિપક્ષને કેવી રીતે સાથે લાવી શકાય તે અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.


 






આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થઈ હતી. ઘણા સમયથી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને મળવાની ઈચ્છા હતી. અમે આ સંબંધને આગળ લઈ જઈશું. ઉદ્ધવજી સિંહના પુત્ર છે. મને આશા છે કે ઉદ્ધવ ઠાકરેને ન્યાય મળશે. દેશના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. કેન્દ્ર પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે ભાજપ માત્ર ગુંડાગીરી કરે છે. ED અને CBIનો ઉપયોગ કાયર લોકો કરે છે. દિલ્હીની જનતાએ અમને MCDમાં બહુમતી આપી. સ્થાયી સમિતિમાં અમારી બહુમતી છે. આ દેશમાં એક પાર્ટી માત્ર ચૂંટણી વિશે જ વિચારે છે. અમે આ સંબંધને આગળ લઈ જઈશું


આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ બેઠકમાં કોંગ્રેસને સાથે લઈને ગઠબંધન કેવી રીતે મજબૂત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોને ટાંકીને જાણવા મળે છે. નોંધપાત્ર રીતે, માર્ચના અંતમાં, ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં વિપક્ષી નેતાઓની એક મોટી બેઠકનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના ગણાવ્યું હતું અને તેમને ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ પણ ફાળવ્યું હતું.


તો શું 2024માં રાહુલ ગાંધીના બદલે આ નેતા બનશે PM પદના ઉમેદવાર?


છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 5 વર્ષ બાદ કોંગ્રેસનું ત્રણ દિવસીય સંમેલન યોજાઈ રહ્યું છે. સંમેલનમાં સંગઠનના પુનરુત્થાન અને 2024 માટેના રોડમેપ અંગે અનેક ઠરાવો પસાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પચમઢીની જેમ રાયપુરમાં પણ કોંગ્રેસ ગઠબંધન અને ચહેરા પર મોટો નિર્ણય લઈ શકે છે. સાથે જ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધીના બદલે ગાંધી પરિવારના બહાર વ્યક્તિને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. 


પચમઢીમાં 2003માં કોંગ્રેસે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધનનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પાર્ટીએ ચૂંટણી પહેલા પોતાનો ચહેરો જાહેર ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. કોંગ્રેસને તેનો જબરદસ્ત ફાયદો થયો અને 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર ગઈ હતી અને  કોંગ્રેસ ગઠબંધન વતી મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. સતત બે સામાન્ય ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ કોંગ્રેસ ફરી જૂની રણનીતિ પર પાછી આવી છે. પાર્ટી કેટલાક રાજ્યોમાં ચૂંટણી પૂર્વે નવેસરથી ગઠબંધન કરી શકે છે. જેમાં બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.