દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી મુક્ત થયા છે. આ પછી તેમણે કહ્યું કે તમારા લોકોની વચ્ચે રહીને ખૂબ જ સારું લાગે છે. મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ, લો આવી ગયો. 






આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, "140 કરોડ લોકોએ તાનાશાહી સામે લડવું પડશે." દેશને તાનાશાહીમાંથી બચાવવાનો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે કનોટ પ્લેટના હનુમાન મંદિરની મુલાકાત લેશે. આવતીકાલે બપોરે 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ થશે.


 






દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.  


EDની કસ્ટડીમાં રહેલા કેજરીવાલ વતી કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે તેમને જામીન મળવી જોઈએ. જો કે, તપાસ એજન્સીએ પહેલા જ AAP વડાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેની સાથે કોઈ ખાસ વ્યક્તિની જેમ વ્યવહાર કરી શકાય નહીં. જો કે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલને જામીન આપ્યા હતા.


છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે અરવિંદ કેજરીવાલને જામીન આપી શકે છે. આ જ કારણ હતું કે EDએ ગુરુવારે કેજરીવાલની અરજીનો વિરોધ કરીને એફિડેવિટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે કાયદા દરેક માટે સમાન છે અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી.


તપાસ એજન્સીએ કહ્યું હતું કે, પ્રચાર માટે કોઈ રાજકીય નેતાને જામીન આપવામાં આવ્યા નથી.  કેજરીવાલને AAP ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે જેલમાંથી બહાર આવવા દેવાથી ખોટી દાખલો બેસશે.