નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસીનીને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી ગેંગરેપના દોષિતોની ફાંસી મુદ્દે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો. તેના પર હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, આવા સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ ન થવી જોઈએ.


કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, “હું નારાજ છું કે આ પ્રકારના મુદ્દા પર રાજનીતિ થઈ રહી છે. શું જલ્દી દોષિતોને ફાંસી સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ ના કરવું જોઈએ ? શું આપણે એક એવી સિસ્ટમ બનાવવા માટે હાથ નથી મીલાવી શકતા કે આવા લોકોને છ મહિનાની અંદર ફાંસી પર લટકાવી શકાય ? મહિલાઓની સુરક્ષાને લઈને ચાલો એક સુરક્ષિત શહેરનું નિર્માણ કરીએ.

દિલ્હીની એક કોર્ટ દ્વારા નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસીની તારીખ નક્કી કરવાના થોડાક સમય પહેલા કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ મુદ્દે રાજનીતિ કરવામાં આવી રહી છે. જેના કારણે તે દુખી છે.

નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની કોર્ટે તમામ ચારેય દોષિતો વિરુદ્ધ નવું  ડેથ વોરંટ જાહેર કર્યું છે. આ નવા ડેથ વોરંટમાં હવે 22 જાન્યુઆરીના બદલે તમામ દોષિતોને  એક ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે. નોંધનીય છે કે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત મુકેશ સિંહની દયા અરજી ફગાવી દીધી હતી.