નવી દિલ્હીઃ નિર્ભયાની માતા આશા દેવીને કોગ્રેસ પાર્ટી નવી દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઉતારી શકે છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ કોગ્રેસના પ્રચાર સમિતિના પ્રમુખ કીર્તિ આઝાદે એક ટ્વિટમાં આ દાવાને મજબૂત કરી દીધો છે. આશા દેવીએ કહ્યું કે, તેમની હજુ સુધી કોઇ વાત થઇ નથી.

નોંધનીય છે કે નિર્ભયા પર બળાત્કાર બાદ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આશા દેવીની સહાયતા કરી હતી. રાહુલ ગાંધી નિર્ભયાના પરિવાર સાથે સંપર્કમાં રહ્યા છે. એવી પણ અટકળો છે કે કોગ્રેસ નવી દિલ્હીથી પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દીકરી લતિકાને ઉતારી શકે છે તો ભાજપ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની દીકરી બાંસુરીને ઉમેદવાર બનાવી શકે છે.

આ અગાઉ નિર્ભયાના દોષિતોને ફાંસીમાં વિલંબને લઇને આશાદેવીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે કામ સરકારે કરવું જોઇએ તે અમે કરી રહ્યા છીએ. કોગ્રેસના ઉમેદવાર પરના સવાલ પર આશા દેવીએ કહ્યું કે, મારી કોઇ સાથે વાત થઇ નથી.મારો રાજનીતિ સાથે કોઇ સંબંધ નથી. હું મારી દીકરીને ન્યાય અપાવવા માટે લડી રહી છું.