ગુવાહાટીઃ દેશમાં ઝડપથી પ્રસરી રહેલા કોરના વાયરસ વચ્ચે આસામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નગાંવ જિલ્લામાં નિયમોની ઐસી તૈસી કરીને એક મૌલાનાના અંતિમ સંસ્કારમાં આશરે દસ હજાર લોકો સામેલ થયા હતા. જે બાદ સ્થાનિક તંત્રએ કોરોનાના ડરથી આસપાસના ત્રણ ગામમાં પૂર્ણ લોકડાઉન કરી દીધું છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મૃતક એક ધાર્મિક પ્રચારક હતા અને તેમની ઉંમર આશરે 87 વર્ષ હતી.


એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, બે જુલાઈએ અખિલ ભારતીય ઉલેમાના ઉપાધ્યક્ષ ખૈરુલ ઈસ્લામને તેમના મૂળ સ્થાનના એક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેઓ એક જાણીતી હસ્તી હતા, તેથી તેમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ખૈરુલના પુત્ર અમીનુલ ઈસ્લામ નગાવં જિલ્લાના ઢીંગ વિધાનસભાથી ધારાસભ્ય છે. તેણે પોતાના પિતાના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તંત્રનું માનવું છે કે અંતિમ સંસ્કારમાં આશરે હસ હજાર લોકો સામેલ થયા હતા.

નગાંવ જિલ્લાના અધિકારી જાદવ સૈકિયાએ કહ્યું, આ અંગે બે મામલા નોંધવામાં આવ્યા છે. અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા લોકોએ અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. મામલામાં એક પોલીસ અને એક મેજિસ્ટ્રેટે કેસ દાખલ કર્યો છે. તેની સાથે જ કોરોનાનો પ્રસાર રોકવા માટે ત્રણ ગામને સીલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, બંને મામલા કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે નોંધવામાં આવ્યા છે. અમે મામલાની તપાસ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું.

મૃતક મૌલાનાના ધારાસભ્ય પુત્ર અમીનુલ ઈસ્લામે આ અંગે કહ્યું, મારા પિતા એક મોટી હસ્તી હતી. અમે અંતિમ સંસ્કાર માટે પોલીસને માહિતગાર કરી હતી. પોલીસે લોકોને અંતિમ સંસ્કારમાં સામેલ થવાથી રોક્યા હતા પરંતુ તેમ છતાં આટલા લોકો સામેલ થયા હતા.