મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6555 કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને 2,06,619 પર પહોંચી ગયા છે.


રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 151 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ મૃત્યુઆંક 8822 પર પહોંચી ગયો છે. સારા સમાચાર એ છે કે છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 3658 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,11,740 દર્દીઓ સ્વસ્થ થયા છે.

હાલમાં મહારાષ્ટ્રમાં 86,057 એક્ટિવ દર્દીઓ છે, એટલે કે આટલા દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,12,442 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાનો સૌથી વધુ કહેર છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 1311 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 63 દર્દીઓના મોત થયા છે. મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 84,125 પર પહોંચી છે, જેમાંથી 55,883 લોકો રિકવર થયા છે. શહેરમાં મૃત્યુઆંક 4,896 પર પહોંચ્યો છે.