Atal Bihari Vajpayee Death Anniversary: ​​આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ અટલ સમાધિ સ્થળ પર જઇને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી છે. 2018માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે. સરકારના ઘણા મંત્રીઓ ટ્વિટર દ્વારા સ્વર્ગસ્થ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.






ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટમાં લખ્યું હતું કે “પૂજ્ય અટલજીએ તેમના જીવનની દરેક ક્ષણ મા ભારતીની ગરિમાને પુનઃસ્થાપિત કરવા માટે ખર્ચી નાખી. તેમણે ભારતીય રાજકારણમાં ગરીબ કલ્યાણ અને સુશાસનના નવા યુગની શરૂઆત કરી અને વિશ્વને ભારતની હિંમત અને શક્તિનો અહેસાસ કરાવ્યો. આજે તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ.






રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર હું તેમને યાદ કરીને નમન કરું છું. દેશને વિકાસ અને સુશાસનનો મંત્ર આપનાર અટલજીનું સમગ્ર જીવન તેમના વ્યક્તિત્વની ઊંડાઈ અને તેમની સર્જનાત્મકતાની ઊંચાઈનું પ્રતિબિંબ છે. ભારતની વિકાસયાત્રામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.














અટલ બિહારી વાજપેયી ત્રણ વખત પીએમ બન્યા હતા. 


ઉલ્લેખનીય છે કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચુક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સહ-સ્થાપક પણ હતા. તેઓ ભારતના પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન હતા જેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જોકે, એક વખત તેઓ માત્ર 13 દિવસ માટે અને બીજી વખત 13 મહિના માટે પીએમ બન્યા હતા. 27 માર્ચ 2015 ના રોજ, ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.