Atiq Save UPA Government in 2008 : એક સમયે આખા ઉત્તર પ્રદેશને પોતાના ડરથી ધ્રુજાવનાર બાહુબલી અતિક અહેમદનો ખેલ ખતમ થઈ ગયો છે અને આજે જ તેને સુપુર્દ-એ-ખાક રવામાં આવ્યો છે. અતિક તેના આતંકની સાથો સાથ રાજકીય કિસ્સાઓમાં પણ ઈતિહાસ બનીને યાદ રહેશે. કંઈક આવી જ એક ઐતિહાસિક ઘટનાનો તે સાક્ષી બન્યો હતો જે 2008 માં ઘટી હતી. 2008માં જ્યારે તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકાર અને તેની યુએસ સાથેનો પરમાણુ કરાર જોખમમાં હતો, ત્યારે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદે સરકારને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.



આ દાવો 'બાહુબલીઝ ઓફ ઈન્ડિયન પોલિટિક્સઃ ફ્રોમ બુલેટ ટુ બેલેટ' નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. વિપક્ષે તત્કાલીન મનમોહન સિંહ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો અને યુપીએ સરકાર અને અમેરિકા સાથેનો પરમાણુ કરાર દાવ પર લાગ્યો હતો. પુસ્તક અનુસાર, અતીક સહિત છ દોષિત સાંસદોને 48 કલાકની અંદર અલગ-અલગ જેલોમાંથી ફર્લો પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ છ સાંસદોમાં સમાજવાદી પાર્ટીના તત્કાલિન લોકસભા સભ્ય અતીક અહેમદ હતો, જે તત્કાલીન અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)ના ફુલપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હતો. રાજેશ સિંહ દ્વારા લખાયેલ અને રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અતીક એ મસલમેનમાંનો એક હતો જેણે યુપીએ સરકારને પડતી બચાવી હતી. અસૈન્ય પરમાણુ સમજૂતી કરવાના સરકારના નિર્ણયને કારણે ડાબેરી પક્ષોએ 2008ના મધ્યમાં સરકારને બહારથી આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.

સિંહે લખ્યું છે કે, UPAના લોકસભામાં 228 સભ્યો હતા અને સરકાર અવિશ્વાસ પ્રસ્તાવને ટકી રહેવા માટે 44 વોટની ઘટ પડી રહી હતી. વડાપ્રધાન સિંહે જોકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમની સરકાર સત્તામાં રહેશે. તે વિશ્વાસનો મત ક્યાંથી આવ્યો તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ ગયું. તેમણે લખ્યું કે, ત્યાર બાદ સમાજવાદી પાર્ટી, અજીત સિંહની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકદળ (RLD) અને એચડી દેવગૌડાના જનતા દળ (સેક્યુલર)એ યુપીએને સમર્થન આપ્યું હતું. તેમણે આગળ લખ્યું કે, આ બાહુબલી નેતાઓ અન્ય સાંસદોમાં પણ સામેલ હતા જેમણે યુપીએને સમર્થન આપ્યું હતું.

પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, મતદાનના 48 કલાક પહેલા (વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર) સરકારે દેશના 6 કાયદા તોડનારાઓ સાંસદોને જેલમાંથી ફર્લો પર લઈ ગયા હતા, જેથી તેઓ તેમની બંધારણીય જવાબદારી પૂરી કરી શકે. કુલ મળીને આ બાહુબલી સાંસદો પર અપહરણ, હત્યા, ખંડણી, આગચંપી સહિતના 100 થી વધુ કેસ નોંધાયેલા હતાં.

પુસ્તક અનુસાર, આ મસલમેન સાંસદોમાંથી એક ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ અતીક અહેમદ હતો. તેણે પોતાનો મત આપ્યો હતો અને તે પણ યુપીએની તરફેણમાં. તે સમયે અતીક અહેમદે ગુના અને રાજકારણ બંને ક્ષેત્રોમાં પોતાનું સ્થાન બરોબરનું જમાવી દીધું હતું. અતીક (60)એ પોતાની ઓળખ એક રાજકારણી, કોન્ટ્રાક્ટર, બિલ્ડર, પ્રોપર્ટી ડીલર અને ખેડૂત તરીકે કરી હતી પરંતુ તેની સામે અપહરણ, ખંડણી અને હત્યા સહિતના ગંભીર ગુનાહિત આરોપો હતા.