નવી દિલ્લી: નોટબંધીનો આજે 27 મો દિવસ છે. બે દિવસ બાદ આજે બેંક ખૂલ્યા તો ત્યાં લાંબી લાઈનો છે. બીજી તરફ સંસદના બંને ગૃહમાં નોટબંધીને લઈને ખૂબ જ હંગામો થયો હતો.


રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું જ્યારે સંસદના એટીએમમાં જ પૈસા નથી તો કઈ રીતે માનીએ કે ગામડાઓમાં પણ પૈસા પહોંચી રહ્યા છે.

સીપીએમ નેતા સીતારામ યેચૂરીનું કહેવું હતું કે જો સરકારે જવાબ આપ્યો તો વિરોધ કરી રહેલા સાંસદો પોત-પોતાની સીટો પર ચાલ્યા જશે. પરંતુ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર શોર કરવો એ પ્રશ્ર્નનો હલ નથી. નોટબંધીને લઈને સંસદની બહાર પણ પ્રર્દશન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે વિપક્ષ નોટબંધી મુદ્દા પર વોટિંગ કરવાની માંગ કરી રહ્યું છે, ત્યારે સરકારના નિયમ 193 મુજબ ચર્ચા કરવા માટે તૈયાર છે જેમાં ચર્ચા બાદ વોટિંગની કોઈ જોગવાઈ નથી. વિપક્ષે વોટિંગની માંગ પ્રબળ કરતા લોકસભા સ્થગિત કરવામાં આવી હતી.