નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહાસંકટ વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓ પર સતત થઇ રહેલા હુમલાઓ વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં એક વટહુકમ લાવવામાં આવ્યો છે. ત્યારબાદથી હવે સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરવાના વિરુદ્ધ કડ઼ક એક્શન લેવામાં આવશે. જેમાં ત્રણ મહિનાથી લઇને સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી હતી.






પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, અનેક સ્થળો ડોક્ટરો વિરુદ્ધ હુમલાની જાણકારી આવી રહી છે. સરકાર તેને સહન કરશે નહીં. સરકાર આ માટે એક વટહુકમ લાવી છે. જેમાં કડ઼ક સજાની જોગવાઇઓ છે.તેમણે કહ્યુ કે, મેડિકલ કર્મચારીઓ પર હુમલો કરનારાઓને જામીન મળશે નહીં. 30 દિવસની અંદર તેની તપાસ પુરી થશે. એક વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે જ્યારે ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે.



તે સિવાય ગંભીર મામલામાં છ મહિનાથી લઇને સાત વર્ષની સજાની જોગવાઇઓ છે. ગંભીર મામલામાં 50 હજારથી બે લાખ સુધીની દંડની જોગવાઇ છે.વટહુકમ અનુસાર જો કોઇ વ્યક્તિ સ્વાસ્થ્ય કર્મચારીની ગાડી પર હુમલો કર્યો તો માર્કેટ વેલ્યૂના ડબલ દંડ઼ ભરવો પડશે. તેમણે કહ્યુ કે, દેશમાં અત્યાર સુધીમાં 723 કોવિડ હોસ્પિટલ છે. જેમાં લગભગ બે લાખ બેડ તૈયાર છે. જેમાં 24 હજાર આઇસીયૂ બેડ છે અને 12 હજાર 190 વેન્ટિલેટર છે જ્યારે 25 લાખથી વધારે N95 માસ્ક છે. જ્યારે 2.5 કરોડના ઓર્ડર આપવામાં આવી ચૂક્યા છે.