મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સુરત જઈ રહેલા બે સાધુ તથા ડ્રાઈવર મળીને ત્રણ લોકોની ટોળાએ હત્યા કરી એ ઘટનાને કોમી રંગ આપવાના પ્રાસો થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પાલઘર કેસમાં જેમની ધરપકડ થઈ છે તે તમામ 101 આરોપીઓનું લિસ્ટ જાહેર કર્યું  છે. આ લિસ્ટમાં તમામ આરોપી હિંદુ છે.


આ ઘટના અંગેનો એક વીડિયો  ઓનલાઇન વાયરલ થયો હતો. તેમાં એક વ્યક્તિ ‘શોએબ બસ’ એવું બોલે છે એવા અહેવાલો મીડિયા તથા સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. દેશણુખે સ્પષ્ટતા કરી છે કે, આ વ્યક્તિ ‘ઓ એ બસ’ બોલે છે અને તેને લોકોએ ‘શોએબ બસ’ ગણાવીને કોમવાદી રંગ આપી દીધો.

અનિલ દેશમુખે કહ્યું કે, આ લિસ્ટ એટલા માટે જાહેર કરવું પડ્યું છે કે આ મુદ્દાને હવે કોમી રંગ આપવામાં આવી રહ્યો છે. પાલઘરમાં બે નિર્દોષ સાધુઓ અને તેમના ડ્રાઇવરને મારી-મારી હત્યા કરવામાં આવી હતી.

લિસ્ટ જાહેર કરતા પહેલા ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, સીઆઈડીના   આઈજી સ્તરના અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે અને પોલીસે ઘટનાના માત્ર 8 કલાકમા જ 101 લોકોની ધરપકડ કરી છે. અમે આજે વોટ્સએપના માધ્યમથી આરોપીઓના નામ જાહેર કરી રહ્યા છીએ અને  આ લિસ્ટમાં કોઈ મુસ્લિમ નથી.

અનિલ દેશમુખે કહ્યું કે, હાલમાં દેશનું દરેક રાજ્ય કોરોના સામે લડી રહ્યું છે ત્યારે કેટલાક લોકો આ પરિસ્થિતમાં પણ પાલઘર ઘટનાને કોમી રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે અફવા ફેલાવનારાં સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.  



પાલઘર મોબ લિંચિંગ ઘટનામાં ટોળા દ્વારા જૂના અખાડાના બે નિર્દોષ સાધુઓ અને તેમના ડ્રાઈવર સહિત 3ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ લોકો સુરત જઈ રહ્યા હતા.