લખનઉ: ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યામાં ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદ નિર્માણ માટે બુધવારે ટ્રસ્ટના સભ્યોના નામની જાહેરાત કરી દીધી છે.


બોર્ડના અધ્યક્ષ જુફર અમહદ ફારુકીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, બોર્ડે અયોધ્યાના ઘન્નીપુર ગામમાં ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન પર મસ્જિદ, ઈન્ડો ઈસ્માલિક રિસર્ચ સેન્ટર, લાઈબ્રેરી અને હોસ્પિટલના નિર્માણ માટે ‘ઈન્ડો ઈસ્માલમિક કલ્ચરલ ફાઉન્ડેશન’ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે.

ફારુકીએ જણાવ્યું કે, ટ્રસ્ટમાં કુલ નવ સભ્યો છે. બોર્ડ ખુદ તેનો સંસ્થાપક ટ્રસ્ટી રહેશે. આ સિવાય તેમણે જણાવ્યું કે, તેઓ ખુદ આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને અધ્યક્ષ રહેશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 9મી નવેમ્બરે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં ઐતિહાસિક ચૂકાદો આપતા વિવાદિત સ્થળ પર રામ મંદિરનું નિર્માણ કરવા અને મુસલમાનોને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં અલગ જગ્યા ફાળવવાનો આદેશ આપ્યો હતો.