પ્રયાગરાજ: અયોધ્યા રામ જન્મભૂમિના પરિસરમાં થયેલા આંતકી હુમલા મામલે કોર્ટે 14 વર્ષ બાદ મોટો ચુકાદો આપ્યો છે. કૉર્ટે ચાર દોષિતોને આજીવન જેલની સજા સંભળાવી છે. અને વીસ-વીસ હજાર દંડ ફટકાર્યો છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અજીજને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે. આ આરોપીઓ પર હુમલા માટે ષડયંત્ર રચવાનો આરોપ હતો. છેલ્લા કેટલાક સમયથી તેઓ પ્રયાગરાજની નેની જેલમાં જ બંધ હતા. આ મામલાની સુનાવણી સ્પેશિયલ જજ દિનેશ ચંદ્ર કરી રહ્યાં હતા.


હુમલાની તપાસ કરી રહેલી ટીમે આ મામલે પાંચ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાં દિલ્લીના સાકેતનગરમાં દવાખાનું ચલાવનાર સહારનપુરનો ડૉ. ઇરફાન માસ્ટર માઈન્ડ હતો. જ્યારે અન્ય ચાર લોકો જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના મેન્ડર વિસ્તારના રહેવાસી છે. લશ્કર-એ-તૈયબાએ આ હુમલો બાબરી મસ્જિદની ઘટનાનો બદલો લેવા માટે કરાવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં 5મી જુલાઈએ અયોધ્યાની રામ જન્મભૂમિ પરિસરમાં આ આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં પાંચ આતંકવાદી અને એક ટુરિસ્ટ ગાઈડ સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સીઆરપીએફ તથા પીએસીના સાત જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.