નવી દિલ્હી: અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદની આજે ધર્મસભા યોજાવાશે. રામ મંદિર નિર્માણની માંગને લઈને અયોધ્યામાં સંતો, રાજનેતાઓ, વિહિપ, શિવસેના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોના સમર્થકોની ભીડ એકઠી થઇ રહી છે. મોટી સંખ્યામાં રામ ભકતો અયોધ્યા પહોંચી રહ્યા છે. ધર્મસભાના આયોજકો અનુસાર લગભગ ત્રણ લાખ જેટલા રામ ભક્તો આવવાની શક્યતા છે. આ ધર્મસભામાં સાધુસંત, વીએચપી અને ભાજપના કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યા છે પરંતુ મંચ પર માત્ર સાધુ સંતોને જ સ્થાન આપવામાં આવશે.


ધર્મસભા પહેલા વીએચપીએ રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વીએચપીએ કહ્યું કે, રામ મંદિર પર આ અમારી છેલ્લી સભા છે. આ ધર્મસભા બાદ સંભાઓ કે પ્રદર્શન નહીં થાય, સીધું રામ મંદિરનું નિર્માણ થશે. વીએચપી સંગઠનના સચિવ ભોલેન્દ્રએ કહ્યું કે, “અમે અગાઉ 1950 થી 1985 સુધી 35 વર્ષ કોર્ટના નિર્ણયની રાહ જોઈ, તેના બાદ 1985 થી 2010 સુધીનો સમય હાઇકોર્ટને ચુકાદો આપવામાં લાગ્યો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તત્કાલિક સુનાવણીની અરજીને બે મિનિટમાં નકારી દીધી, આ દુર્ભાગ્ય છે કે 33 વર્ષથી રામ લલા ટેન્ટમાં છે.”

ધર્મસભાને લઈને અયોધ્યામાં સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. 700 થી વધુ કોન્સ્ટેબલ, 160 ઇન્સ્પેક્ટર, પાંચ કંપની આરએએફ, એટીએસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.

બે દિવય અયોધ્યા યાત્રા પર પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રામ લલાના દર્શન કરવા જશે. તેના બાદ તેઓ 11 વાગ્યે અયોધ્યા હોટલ પંચવટીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું હું અહીં કુંભકરણને જગાડવા આવ્યો છું. બધા મળીને મંદિર બનાવશું તો જલ્દી પૂર્ણ થશે. અમને મંદિર બનાવવાની તારિખ જોઈએ. બીજી અન્ય વાતો બાદમાં થતી રહેશે. ઉદ્ધવ ઠાકરેએ કાલે પરિવાર સાથે સરયૂ આરતીમાં ભાગ લીધો હતો.