પટનાઃ બિહારના ભવન નિર્માણ મંત્રી મહેશ્વર હજારીએ તેજસ્વી યાદવને સરકારી બંગલો ખાલી કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા છે. મહાગઠબંધનની સરકારમાં તેજસ્વી યાદવને પટનાના 5 દેશરત્ન માર્ગ પર આવેલો બંગલો ફાળવવામાં આવ્યો હતો પરંકુ એનડીએની સરકાર બન્યા સાથે જ 15 દિવસની અંદર બંગલો ખાલી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ નિર્દેશ વિરુદ્ધ તેજસ્વી યાદવે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટની સિંગલ બેન્ચે પણ 15 દિવસની અંદર બંગલો ખાલી કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ તેજસ્વી યાદવે ડબલ બેન્ચમાં અરજી કરી જ્યાં પણ તેમને બંગલો ખાલી કરાવવાના આદેશ અપાયા હતા. આ બંગલો હાલમાં નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને ફાળવવામાં આવ્યો છે. કોર્ટેના આદેશ બાદ વિભાગે જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે બંગલો ખાલી કરાવવામાં આવે. જ્યારે આ અંગે તેજસ્વી યાદવને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ચુપકીદી સેવી હતી.

બીજી તરફ તેજસ્વી યાદવે શુક્રવારે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. આરજેડી નેતાએ કહ્યું કે, નીતિશ કુમારે જવાબ આપવો જોઇએ કે તેમના શાસનમાં સરકારી ખજાનામાંથી કેટલા રૂપિયાની ચોરી થઇ છે. નીતિશ કુમાર દેશના સૌથી મોટા ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી છે. તેજસ્વી યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે જો તેમની ઘરની પાસે સીસીટીવી સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતા તો તેને હટાવવામાં કેમ આવ્યા.