હરિદ્વારઃ પતંજલિની દવા કોરોનિલ પર થયેલા વિવાદ બાદ બુધવારે યોગ ગુરુ બાબા રામદેવ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રામદેવે કહ્યું, "કોરોના અંગેના ક્લીનિકલ કંટ્રોલ ટ્રાયલનો ડેટા દેશ સામે રાખ્યો તો વાવાઝોડું આવ્યું. ડ્રગ માફિયા, મલ્ટીનેશનલ કંપની માફિયા, ભારતીય અને ભારતીય વિરોધી તાકાતોના મૂળિયા હલી ગયા."


રામદેવે કહ્યું, હિન્દુસ્તાનની અંદર યોગ આયુર્વેદનું કામ કરવું એક ગુનો હોય તેમ લાગે છે. કોઈ દેશદ્રોહી કે આતંકવીદી સામે નોંધાય છે તેવી અનેક જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી છે. અમે કોરોનાની દવા પર સારી પહેલ કરી છે. પરંતુ લોકો અમને ગાળો આપી રહ્યા છે. તમે અમને ગાળ આપો પરંતુ જે લોકો કોરોના વાયરસથી પીડિત છે અને જે લાખો કરોડો બીમાર લોકોની પતંજલિએ સારવાર કરી છે તેમના પ્રત્યે તો હમદર્દી રાખો.

લાયસન્સને શું બોલ્યા રામદેવ

બાબા રામદેવે આ અંગે કહ્યું, આયુર્વેદ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ લેવામાં આવ્યું છે. જે આયુષ મંત્રાલય સાથે સંબંધિત હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, આયુર્વેદમાં તમામ દવાઓના રજિસ્ટ્રેશન તેમના પરંપરાગત ગુણોના આધારે થાય છે. કોઈપણ ઔષધિનું અનુસંધાન, ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલનો પ્રોટોકલ આયુર્વેદ નક્કી નથી કરતું. તેથા આ દવાનું આયુર્વેદિક ડ્રગ લાયસન્સ પરંપરાગત ગુણોના આધારે લેવામાં આવે છે.

કોરોનિલ દવા સાથે સંકળાયેલું પૂરું રિસર્ચ આયુષ મંત્રાલયને આપ્યું છે. જેને જોવું હોય તે જોઈ શકે છે. અમે મોર્ડન સાયન્સના પ્રોટોકોલ પ્રમાણે રિસર્ચ કર્યુ છે.  કોરોનિલમાં ગિલોય, અશ્વગંધા અને તુલસીનું સંતુલિત માત્રામાં મિશ્રણ છે.

કોરોનિલમાં શું કરાયો હતો દાવો

બાબા રામદેવે 23 જૂને કોરોનિલ દવા લોન્ચ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના દર્દીઓ એક સપ્તાહની અંદર રિકવર થઈ જાય છે. તેમના આ દાવા બાદ વિવાદ ઊભો થયો હતો. કેન્દ્ર સરકારે અને કેટલીક રાજ્ય સરકારે બાબા રામદેવનો દાવો ખોટો ગણાવ્યો હતો. આયુષ મંત્રાલયે દવાના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે બાદ પતંજલિએ કહ્યું કે, કોરોનાની દવા નહીં પણ ઈમ્યૂનિટી બૂસ્ટર છે.