Badlapur: મહારાષ્ટ્રના બદલાપુરમાં (Badlapur)  બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ ખળભળાટ મચી ગયો છે. અહીં સ્કૂલના એક સફાઇ કર્મચારીએ બે બાળકીઓનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ કહ્યું છે કે તે મહારાષ્ટ્રના બદલાપુરમાં બે બાળકીઓના જાતીય શોષણના કેસની તપાસ કરશે. ઘટના બાદ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે હવે ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરાઇ હતી. અંબરનાથ-કર્જત સેક્શન પર લોકલ ટ્રેન સેવા 10 કલાક બાદ ફરી શરૂ થઈ છે.





એજન્સી અનુસાર, મહારાષ્ટ્રના બદલાપુરમાં એક શાળાના સફાઈ કર્મચારીએ ત્રણ અને ચાર વર્ષની બે બાળકીઓનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટનાને લઈને શહેરમાં તણાવ વધ્યા બાદ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવા માટે એક ટીમ બદલાપુર જશે.


બદલાપુર રેલ્વે સ્ટેશન પર ભારે વિરોધને કારણે અંબરનાથ-કર્જત સેક્શન પર લોકલ ટ્રેન સેવાઓ 10 કલાક પછી ફરી શરૂ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટે સ્કૂલના ટોઇલેટમાં બે બાળકીઓનું યૌન શોષણ થયું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક છોકરીએ તેના માતા-પિતાને 16 ઓગસ્ટે આ ઘટના વિશે જણાવ્યું. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.


સમગ્ર ઘટનાને 10 મુદ્દામાં સમજો


-મંગળવારે મામલો સામે આવ્યા બાદ હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. 30 લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવી પડી હતી અને કેટલીક લાંબા અંતરની ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા હતા.


-બદલાપુરમાં વિરોધ હિંસક બન્યો અને ગુસ્સે થયેલા લોકોએ પથ્થરમારો કર્યો અને શાળામાં તોડફોડ કરી. બદલાપુર રેલ્વે સ્ટેશન પાસે એક બસને પણ નુકસાન થયું હતું. પોલીસે નવ કલાક પછી લાઠીચાર્જ કરીને અને રેલવે ટ્રેક પરથી લોકોને હટાવ્યા હતા.


-પીડિતાઓના માતા-પિતાનો આરોપ છે કે પોલીસે 12 કલાક પછી તેમની ફરિયાદ નોંધી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સ્કૂલમાં લાગેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી. છોકરીઓના ટોઇલેટની સફાઈ માટે મહિલા કર્મચારીની નિમણૂક કેમ કરવામાં આવતી નથી તે અંગે પણ વાલીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.


-પીડિતાના સંબંધીઓ શાળાએ ગયા અને છોકરીઓના નિવેદન લેવા પોલીસ આવે તે પહેલા ત્રણ કલાક સુધી રાહ જોઈ. આ ઘટના માટે સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર અને એક લેડી એટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપી અક્ષય શિંદેની નિમણૂક 1 ઓગસ્ટના રોજ કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી હતી.


-મહારાષ્ટ્ર સરકારે કેસની તપાસમાં કથિત બેદરકારી બદલ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સહિત ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી.


-મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે થાણે પોલીસ કમિશનરને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન કોર્ટે આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.


-મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાળા સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે આ મામલાની ઝડપથી તપાસ કરવામાં આવશે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં.


-મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે.


-જ્યારે સમગ્ર વિસ્તારના લોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હજારો પ્રદર્શનકારીઓએ બદલાપુર સ્ટેશન પર રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધો હતો. જેના કારણે લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી. લાંબા અંતરની ટ્રેનોના રૂટ બદલવા પડ્યા. બદલાપુર રેલ્વે સ્ટેશન પર આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને શાળાની ઇમારતમાં તોડફોડ કરી હતી.


-આ સમગ્ર મામલાને લઈને વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો કે પીડિત છોકરીઓના માતા-પિતાને બદલાપુર પોલીસ સ્ટેશનમાં 11 કલાક સુધી રાહ જોવી પડી, ત્યારબાદ અધિકારીઓએ તેમની ફરિયાદ નોંધી હતી.