નવી દિલ્હી:  કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન કોઈ કોમર્શિયલ ફ્લાઇટ ભારત નહી આવે અને અહીંથી રવાના પણ નહી થાય. આ નિર્ણય કાર્ગો વિમાનો પર લાગુ થશે નહીં.




DGCAના જણાવ્યા અનુસાર, વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયા પોતાનાં વિમાનોનું સંચાલન કરી શકશે. હાલમાં આ મિશન અંતર્ગત 3 લાખથી વધુ લોકોને ભારત લાવવામાં આવ્યા છે. ભારત સરકારે 24 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ દરમિયાન લાખો ભારતીયો અન્ય દેશોમાં ફસાયા હતા. જુલાઈમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની ધારણા હતી.

એક અહેવાલ મુજબ, ઓગષ્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ફરીથી શરૂ થઈ શકે છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા યુએસએ, યુએઈ અને કેનેડા જેવા દેશો સાથે વાત કરવામાં આવી રહી છે. કેટલાક દેશો સાથે વાટાઘાટો અંતિમ તબક્કે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે. ત્યાં સુધી વિદેશમાં ફસાયેલા લોકોએ 'વંદે ભારત મિશન' નો સહારો લેવો પડશે.