નવી દિલ્હીઃ શનિવારે રાજસ્થાનના ઝુંઝુંનૂંની ખેતડી લોક અદાલતમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. બેંક કર્મચારીઓએ એક વ્યક્તિના ઘરે પહોંચીને તેને 50 પૈસા બાકી હોવાની નોટિસ ફટકારી દીધી. ઘટના ખેતડીની છે જ્યાંના રહેવાસી જિતેન્દ્ર કુમારનું એસબીઆઈમાં જનધન એકાઉન્ટ છે.


ખેડૂત જિતેન્દ્ર કુમારનું કહેવું છે કે, તેના ખાતામાં હાલમાં 124 રૂપિયા જમા છે. તેણે બેંક કર્મચારીઓ પર આરોપ લગાવ્યો કે, ગુરુવારે રાત્રે 11 કલાકે બેંક કર્મચારીઓ ઘરે આવ્યા અને તેને 50 પૈસાની બાકી હોવાની નોટિસ આપી ગયા. જિતેન્દ્ર કુમારે નોટિસ વિશે જણાવ્યું કે, નોટિસમાં લખ્યું હતું કે, શનિવારે લોક અદાલતમાં પહોંચીને 50 પૈસા જમા કરાવી જાવ નહીં તો તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જિતેન્દ્રએ જણાવ્યુ કે તેઓ હાલમાં કરોડરજ્જુની તકલીફનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તે જિતેન્દ્રના પિતા વિનોદ સિંહ ખેતડીની લોક અદાલતમાં પહોંચ્યા. 50 પૈસાની નોટિસનો કેસ જોઈને આસપાસ વકીલોની ભીડ ભેગી થઈ ગઈ. બેંક અધિકારી ત્યાં હાજર લોકોને જોતા રૂપિયા જમા લીધા વગર જ નીકળી ગયા. જિતેન્દ્રના પિતા વિનોદ સિંહનું કહેવું છે કે, 50 પૈસા જમા કરાવવા માટે અધિકારીઓએ પાસે જઈ રહ્યા છીએ, પરંતુ હવે બેંક અધિકારી પૈસા જમા લેવા માટે તૈયાર નથી.

જિતેન્દ્રના વકીલ વિક્રમ સિંહે કેસને લઈને કહ્યું કે, મારા ક્લાઈન્ટની પાસે 50 પૈસા જમા કરાવવાની નોટિસ એસબીઆઈ બેંક અધિકારીઓએ આપી હતી. તેમણે કહ્યું કે, બેંક વિરૂદ્ધ કાયદાકીય કાર્રવાઈ અને માનહાનિનો કેસ કરવામાં આવશે.