નવી દિલ્લીઃ ગુરુવારે સવારે યુપીના બારાબંકીમાં ભયંકર અકસ્માત થયો હતો. દેવા વિસ્તારના બાબુરી ગામ પાસે ટૂરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. જેને કારણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે. બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. આ બસમાં 60 મુસાફરો હતા. અચાનક રસ્તા પર આવેલી ગાયને બચાવવા જતાં ટ્રક અને બસ અથડાયા હોવાના અહેવાલ છે.


પોલીસે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. જેસીબીને ઘટના સ્થળે બોલાવી બસ અને ટ્રકને અલગ કરાયા છે. ઘણા મૃતદેહો અને મુસાફરો ખરાબ રીતે ફસાયા ગયા હતા. કટર વડે ગાડિઓને કાપીને યાત્રીઓને કઢાઈ છે. મૃતકોની ઓળખાણ કરવામાં આવી રહી છે.


ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. જિલ્લાધીકારી ડો. આદર્શ સિંહે જિલ્લા હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે.


પાડોશી દેશ પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપઃ 20 લોકોના મોત


પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરુવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ બલુચિસ્તાન પ્રાંતના હરનેઈ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ  કૂદરતી આફતમાં 20 લોકોનાં મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં એક મહિલા અને 6 બાળકનો સમાવેશ થાય છે. લગભગ 200 લોકો ઘાયલ થયા છે.


ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 તરીકે આંકવામાં આવી છે. US જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20.8 કિમી નીચે હોવાનું જાણવા મળ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવું છે કે બચાવકાર્ય શરૂ કરાયું છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. અધિકારીઓએ મીડિયાને આપેલી વિગતો પ્રમાણે,  ભૂકંપને કારણે દીવાલ ધરાશાયી થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંચકા સિબી, પિશિન, મુસ્લિમ બાગ, સૈફલ્લાહ કાચલક કિલ્લા, હરનઈ અને બલુચિસ્તાન અને ક્વેટાના આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. એ પછી, ઘણા વિસ્તારોમાં લોકો તેમના ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા.


ડેપ્યુટી કમિશનર સુહેલ અનવર શાહીને જણાવ્યું હતું કે, અહીં કોલસાની ખાણોમાં કામ કરતા ઓછામાં ઓછા 4 લોકો ત્યાં ફસાઈ જતાં તેમના મોત નીપજ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર હરનઈ અને શહરાગ શહેરોમાં દીવાલો અને મકાનોની છત ધરાશાયી થતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.


ભૂકંપમાં અનેક ખાનગી અને સરકારી ઇમારતોને નુકસાન થયું હતું. આ વિસ્તારોમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. દરમિયાન હરનઈની તમામ હોસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરાઈ છે. ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર મૂકાયા છે.