નવી દિલ્લીઃ પઠાનકોટ હુમલાના કવરેજને લઈને એનડીટીવી ઈન્ડિયા ન્યૂઝ ચેનલના પ્રસારણને એક દિવસ માટે બંધ કરવાના કેંદ્ર સરકારના નિર્ણયને NBA અને BEAએ વખોડી કાઢી હતી. NBA અને BEAએ સરકારને આ નિર્ણયમાં ફરીથી વિચારણા કરવાની અપીલ કરી હતી. જોકે, એનડીટીવી ઇન્ડિયા ન્યૂઝે પોતાના બચાવમાં જણાવ્યુ હતું કે, તેમનું પ્રસારણ બિલકુલ સંતુલિત હતું.


NBA એટલે કે, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિએશને દેશના તમામ ન્યૂઝ ચેનલોના પ્રતિનિધિ સંગઠન છે. જ્યારે BEA દેશના તમામ સમાચાર ચેનલોના સંપાદકોની પ્રતિનિધિ સંસ્થા છે. કેંદ્ર સરકારના સૂચના પ્રસારણ મંત્રાલયની ઈન્ટર મિનિસ્ટરીયલ કમિટીએ પોતાના નિર્ણયમાં જણાવ્યુ હતું કે, 2 જાન્યુઆરી 2016ના દિવસે પઠાનકોટમાં થયેલા આતંકી હુમલા દરમિયાન એનડીટીવી ઈન્ડિયા ન્યૂઝ ચેનલે સંવેદનશીલ સુચનાઓનું પ્રસારણ કર્યું હતું.

સરકારના મતે એનડીટીવી ઇન્ડિયા ન્યૂઝના આ પ્રસારણનો લાભ લાભ આતંકીઓના હેન્ડલર્સે ઉઠાવ્યો હતો. આ ધ્યાને લેતા સરકાર તરફથી નવ નવેમ્બર 2016ના દિવસે એનડીટીવી ઈન્ડિયા ચેનલનું પ્રસારણ એક દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.