નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. જેને પગલે કોરોના દર્દીઓની સંખ્યા નવ લાખ સુધી પહોંચી ગઈ છે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા અનેક રાજ્યોમાં હવે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં બેંગલુરુ શહેર અને ગ્રામ્યમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.


ડેક્કન હેરલ્ડના રિપોર્ટ પ્રમાણે લોકડાઉન શરૂ થાય ત્યાં સુધીમાં જે લોકો શહેર છોડવા માંગતા હોય તેમના માટે રાજ્ય સરકારે 1600 બસ દોડાવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 6000થી વધારે લોકો શહેર છોડીને જતા રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો ટેક્ષી ભાડે કરીને તેમના હોમટાઉન પહોંચી ગયા છે.

મુખ્યમંત્રી બી એસ યેદિયુરપપાએ કહ્યું હતું કે, નિષ્ણાતોની સલાહ બાદ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. એક સપ્તાહના લોકડાઉનમાં હોસ્પિટલ, કરિયાણા, દૂધ, શાકભાજી, દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ મળી રહેશે. તે સિવાય કોઈપણ પ્રકારની વસ્તુઓ કે પરિવહનને મંજૂરી નહીં આપવામાં આવે. લોકડાઉનના નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, કર્ણાટકમાં અત્યાર સુધી કોરોનાના 41,581 કેસ નોંધાયા છે અને 757 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 24,576 એક્ટિવ કેસ છે અને 16,248 લોકો સાજા થઈ ગયા છે.