Punjab Cabinet: પંજાબની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી હતી. ત્યારે આજે નવ નિર્મિત સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સીએમ ભગવંત માને 25 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. તેમણે બેરોજગારી દૂર કરવા માટે વધુંમાં વધુ નોકરી આપવાનું વચન આપ્યું છે. આ જાહેર કરેલી નોકરીઓમાં 10 હજાર નોકરીઓ પોલીસ વિભાગમા છે જ્યારે 15 હજાર નોકરીઓ બીજી અલગ અલગ વિભાગમાં છે.


 




કેબિનેટે લીધેલા નિર્ણય મુજબ એક મહિનામાં આ નોકરીઓ બહાર પાડવામાં આવશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા છે તેમા સરકારી શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિ સુધારવી, યુવાનોને નોકરી આપવી આ ઉપરાંત 300 યૂનિટ વીજળી ફ્રી આપવાની વાત સામેલ છે. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે પંજાબમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો. સાથે સાથે પંજાબમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને ડ્રગ્સના દુષણને દૂર કરવાનો પણ વાયદો કર્યો હતો.


આ પહેલા પંજાબના નવા સીએમ માને જાહેરાત કરી હતી કે 23 માર્ચના રોજ શહીદ દિવસ પર રાજ્યમાં એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. માને કહ્યું કે લોકો વ્હોટ્સએપના માધ્યમથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી શકશે. આ પહેલા માને 16 માર્ચના રોજ સીએમ તરીકેના શપથ લીધા હતા. આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 92 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો હતો.


 પંજાબમાં આ 10 નેતાએ લીધા કેબિનેટ મંત્રીના શપથ, ત્રણ ડોક્ટર-બે વકીલ


પંજાબમાં આમ આદમી પાર્ટીએ શુક્રવારે મંત્રીમંડળની જાહેરાત કરી હતી. આ સભ્યોએ આજે કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. મંત્રીમંડળમાં માત્ર 10 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ બીજી વખત ધારાસભ્ય બનેલા માત્ર બે લોકોને જ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટર પર નવા મંત્રીમંડળની જાહેરાત કરી. જેમાં હરપાલ ચીમા (દિરબ), ડો.બલજીત કૌર (મલૌત), હરભજન સિંહ ઈટીઓ (જંડિયાલા), ડો. વિજય સિંગલા (મનસા), લાલ ચંદ કટારુચક (ભોઆ), ગુરમીત સિંહ મીત હેયર (બરનાલા), કુલદીપ સિંગ ધાલીવાલ (અજનાલા), લાલજીત સિંહ ભુલ્લર (પટ્ટી), બ્રહ્મ શંકર (હોશિયારપુર) અને હરજોત સિંહ બૈંસ (આનંદરપુર સાહિબ) સામેલ છે.


મંત્રીમંડળમાં પસંદ કરવામાં આવેલા બે લોકો માત્ર બીજી વખત ચૂંટાયા છે, જ્યારે પ્રથમ વખત ચૂંટાયેલા આઠ નેતાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.  આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારા અમન અરોડાને સ્થાન મળ્યું નથી. પાર્ટી સૂત્રોના કહેવા મુજબ, મુખ્યમંત્રી ભગવંત માન અને પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે અનેક ચર્ચા બાદ કેબિનેટને અંતિમ સ્વરૂપ અપાયું છે. માનની કેબિનેટમાં ત્રણ વકીલો, બે ડોક્ટરો અને એક ખેડૂતનો સમાવેશ થાય છે. સાથે જ એક એન્જિનિયર, બિઝનેસમેન અને સામાજિક કાર્યકરને પણ સ્થાન મળ્યું છે. કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી ડો. બલજીત કૌર આંખના સર્જન છે. ચૂંટણી પહેલા તે સરકારી નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. કૌરના પિતા પ્રોફેસર સાધુ સિંહ 2014માં ફરીદકોટથી AAP સાંસદ હતા.


ભગવંત માન કેબિનેટમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અજનાલાથી જીતેલા 60 વર્ષીય કુલદીપ સિંહ ધાલીવાલ માન કેબિનેટમાં સૌથી વૃદ્ધ મંત્રી છે. નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર 46 વર્ષ અને 11 મહિના છે. મુખ્યમંત્રી સહિત કુલ 11 મંત્રીઓમાં 31 વર્ષીય હરજોત સિંહ ભગવંત માન કેબિનેટના સૌથી યુવા મંત્રી છે. 32 વર્ષીય ગુરમીત સિંહ મીત હેર બીજા અને 40 વર્ષીય લાલજીત સિંહ ભુલ્લર ત્રીજા નંબરના સૌથી યુવા મંત્રી છે. કેબિનેટમાં છ મંત્રીઓની ઉંમર પચાસ વર્ષથી ઓછી છે. તેમાં 46 વર્ષીય ડૉકટર બલજીત કૌર, 47 વર્ષીય હરપાલ ચીમા અને 48 વર્ષીય મુખ્યમંત્રી ભગવંત માનનો સમાવેશ થાય છે. 50 વર્ષથી વધુ ઉંમરના પાંચ મંત્રીઓમાં 51 વર્ષીય લાલ ચંદ, 52 વર્ષીય વિજય સિંગલા, 53 વર્ષીય હરભજન સિંહ ETO, 56 વર્ષીય બ્રમ શંકર અને 60 વર્ષીય કુલદીપનો સમાવેશ થાય છે.