વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષાની કેબિનેટ કમિટી(CCS)એ 15 સ્વદેશી લાઇટ એટેક હેલિકોપ્ટર (LCH) ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ હેલિકોપ્ટર HALપાસેથી 3387 કરોડમાં ખરીદવામાં આવશે. જેમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના માટે અને પાંચ ભારતીય સેના માટે હશે.


ગયા વર્ષે એટલે કે 19 નવેમ્બર 2021ના રોજ રાણી લક્ષ્મીબાઈના જન્મદિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનું મોડલ વાયુસેનાને સોંપ્યું હતું. સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગ રૂપે, સંરક્ષણ મંત્રાલયે 17-19 નવેમ્બર દરમિયાન ઝાંસીમાં રાષ્ટ્રીય સંરક્ષણ સમર્પણ પર્વની ઉજવણી કરી હતી. તે જ અંતર્ગત ઝાંસીમાં દેશના સશસ્ત્ર દળોના ઘણા પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભારતે કારગિલ યુદ્ધ પછીથી જ એલસીએચ સ્વદેશી એટેક હેલિકોપ્ટર તૈયાર કરવાનું મન બનાવી લીધું હતું, કારણ કે તે સમયે ભારત પાસે એવું એટેક હેલિકોપ્ટર નહોતું, જે 15-16 હજાર ફૂટની ઊંચાઈએ જઈને દુશ્મનના બંકરોને નષ્ટ કરી શકે. પરંતુ તે પ્રોજેક્ટને વર્ષ 2006માં મંજૂરી મળી હતી. છેલ્લા 15 વર્ષની મહેનત બાદ આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) તૈયાર કરવામાં આવ્યું છે.


તમને જણાવી દઈએ કે ભારતે હાલમાં જ અમેરિકા પાસેથી અત્યંત આધુનિક એટેક હેલિકોપ્ટર અપાચે ખરીદ્યું છે, પરંતુ અપાચે કારગીલ અને સિયાચીનના શિખરો પર ટેકઓફ અને લેન્ડિંગ કરી શકતું નથી, પરંતુ ખૂબ જ હળવા હોવાના અને ખાસ રોટર હોવાને કારણે એલસીએચ ઉંચા શિખરો પણ મિશનને અંજામ આપી શકે છે.


સરળતાથી દુશ્મનના રડારમાં નથી આવતું


એચએએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલસીએચમાં એવા સ્ટીલ્થ ફીચર્સ છે કે તે દુશ્મનના રડારને સરળતાથી પકડી શકશે નહીં. જો દુશ્મનનું હેલિકોપ્ટર અથવા ફાઇટર જેટ તેની મિસાઇલને LCH પર લૉક કરે છે, તો તે તેને મ્હાત પણ આપી શકે છે. તેની બોડી આર્મર્ડ છે, જેથી તેના પર ગોળીબારની કોઈ ખાસ અસર નહીં થાય. બુલેટની પણ રોટર્સ પર કોઈ અસર નહીં થાય.