પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું માનવું છે કે લોકડાઉન વચ્ચે લોકોને તેમના વતન મોકલવા માટે સ્પેશ્યલ બસોની વ્યવસ્થા કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે તેનાથી કોરોના વાયરસ વધુ ફેલાશે. કોરોના વાયરસને ખત્મ કરવા માટે દેશભરમાં લાગુ ત્રણ સપ્તાહનો લોકડાઉન પણ નિષ્ફળ થઇ જશે.


નોંધનીય છે કે લોકડાઉન હોવાના કારણે અનેક રાજ્યોથી મજૂરો પોતાના ઘર જવા માટે પગપાળા નીકળી પડ્યા હતા. પલાયન કરનારા લોકો માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકારે બસોની વ્યવસ્થા કરી છે. નીતિશ કુમાર આ નિર્ણયને યોગ્ય માનતા નથી. તેમણે કહ્યું કે, લોકોને તેમના ઘરે પહોંચાડવાની આ કવાયત લોકડાઉનના ઉદ્દેશ્યને નિરર્થક સાબિત કરી દેશે. આગામી કેટલાક દિવસોમાં તેનાથી વાયરસ ઝડપથી ફેલાશે.

નીતિશ કુમારે કહ્યું કે, લોકોને પાછા મોકલવા કરતા સ્થાનિક સ્તર પર કેમ્પ લગાવવામાં આવે. રાજ્ય સરકાર એ કેમ્પોનો ખર્ચ ઉઠાવશે. તેમણે લોકોને અપીલ કરી કે બિહારને બચાવવા અને પોતાના લોકોને પ્રેમ કરતા હોય તો જ્યાં છો ત્યાં જ રહો. સરકાર તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી રહી છે. નીતિશ કુમારે લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને કહ્યુ છે કે આ નંબર પર પોતાનું લોકેશન આપો તેમને મદદ કરવામાં આવશે. નીતિશ કુમારે અન્ય રાજ્યોમાં ફસાયેલા બિહારીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા માટે 100 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.