બિહારના ડેપ્યુટી સીએમ અને નાણાંમંત્રી સુશીલ મોદીએ દેશની આર્થિક સ્થિતિ પર ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. સુશીલ મોદીએ કહ્યું હતું કે, શ્રાવણ અને ભાદરવાના મહિનામાં મંદી તો રહે જ છે. જીડીપીના તાજા આંકડાએ મંદીની તરફ ઈશારો કર્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલાં ત્રિમાસિકમાં આર્થિક વિકાસનો દર અંદાજે 6 વર્ષમાં સૌથી ઓછો થઈને 5 ટકા પર પહોંચી ગયો છે. પરંતુ બિહારના ડેપ્યુટી સીએમનું માનવું છે કે, મંદીનો શોર બકોર કેટલાંક લોકો ચૂંટણીમાં હારીને ખીજ ઉતારવા માટે કરી રહ્યા છે.


શ્રાવણ અને ભાદરવો હિન્દુ કેલેન્ડરના પાંચમો અને છઠ્ઠો મહિનો છે. આ મહિનામાં હિન્દુ માન્યતાઓ પ્રમાણે નવી વસ્તુ ખરીદાતી નથી અને ના તો નવા કામ શરૂ કરાય છે. બિહારના નાણાંમંત્રીએ કહ્યું હતું કે, આર્થિક મંદીને લઈ ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે કેન્દ્ર સરકાર કેટલાંય ઉપાય કરી રહ્યું છે.

સુશીલ મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે અર્થતંત્રમાં તેજી લાવવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે અને 10 નાની બેન્કોના મર્જરની પહેલ કરી છે. સરકારના આ ઉપાયોની અસર આવતા ત્રણ મહિનામાં થશે.


સુશીલ મોદીએ કહ્યું હતું કે, બિહારમાં મંદીની ખાસ અસર નથી આથી વાહનોનું વેચાણ ઘટ્યું નથી. સુશીલ મોદીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં જ ત્રીજું પેકેજ જાહેર કરવાની છે.