નવી દિલ્હી:  જનતા દળ યૂનાઇટેડ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મુંગેર સાંસદ લલન સિંહની પસંદગી કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ખાસ નજીકના આરસીપી સિંહના મંત્રી બન્યા બાદ ચર્ચા હતી કે લલન સિંહને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે.  દિલ્હીમાં આયોજિત જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતું. ત્યારબાદ લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના બધા સાંસદ અને આશરે બે ડઝન રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ સામેલ થયા હતા.  આ પદ માટે સંસદીય બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ કેંદ્રીયમંત્રી ઉપેંદ્ર કુશવાહા પણ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમારે લલન સિંહ પર ભરોસો વ્યક્ત કર્યો છે.


જેડીયૂના અધ્યક્ષ પદની રેસમાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ હતુ. લલન સિંહ મુખ્યમંત્રી નીતીશ કુમારના સૌથી નજીક છે. પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ખુરશી પર આરસીપી સિંહને બેસાડ્યા હતા. તમામ રાજકીય સમીકરણોને સાધતા તેમને પાર્ટીમાં સર્વોચ્ચ નેતૃત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે. ત્યારે પાર્ટીએ ફરી નવા અધ્યક્ષની શોધ કરવી પડી છે. 


લલન સિંહને કર્પૂરી ઠાકુરના શિષ્ય માનવામાં આવે છે. વર્તમાનમાં મુંગેર લોકસભા સીટથી જેડીયૂ સાંસદ, નીતીશ કુમારના સંપર્કમાં 1970મા આવ્યા હતા. લલન સિંહ તે લોકોમાં સામેલ છે જેની સાથે મળી નીતીશ કુમારે જેડીયૂએ પાર્ટીનો પાયો નાખ્યો હતો. લાલૂ વિરુદ્ધ અને શરદ યાદવ સાથે નારાજગી બાદ નીતીશે જ્યારે અલગ પાર્ટી બનાવવાનું કહ્યુ તો લલન સિંહ, નીતીશ કુમારની સાથે હતા. ત્યારથી તેઓ નીતીશ સાથે છે. લલન સિંહે નીતીશ કુમાર માટે અનેકવાર સંકટ મોચકની ભૂમિકા નિભાવી છે.