Bihar Reservation: બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે. બિલમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ છે. EWS આરક્ષણ સહિત તે 75 ટકા થઈ જશે. ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું છે.


મુખ્યમંત્રી નીતિશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ચર્ચા દરમિયાન જ નીતિશ કુમાર પૂર્વ સીએમ જીતન રામ માંઝી પર ગુસ્સે થયા હતા. જીતનરામ માંઝીએ પણ  પલટવાર કર્યો હતો. આ સાથે જ સમગ્ર મામલાને લઈને ભાજપે નીતિશ કુમારને ઘેર્યા છે.


નીતિશ કુમારે શું કહ્યું ?



વિધાનસભામાં નીતિશ કુમાર જીતનરામ માંઝી પર ગુસ્સે થયા અને કહ્યું કે તેમને (CM) બનાવ્યા તે મારી મૂર્ખતા હતી. તેમણે કહ્યું, "તેને કોઈ આઈડિયા નથી. આ મારી ભૂલ છે. મેં આ માણસ (જીતનરામ માંઝી)ને સીએમ બનાવ્યો. અમે તેને જાણી જોઈને ત્યાં ભગાડ્યા છે. વર્ષ 2013માં તમને (ભાજપ) છોડી ત્યારે એકલા જ હતા. જ્યારે મેં  તેમને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે બે મહિનામાં જ પાર્ટીના લોકોએ કહેવાનું શરૂ કર્યું કે કંઈક  ગડબડ છે તેમને હટાવવા જોઈએ. અંતે મને આમ કરવાની ફરજ પડી અને ફરી મુખ્યમંત્રી બન્યો. મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ (જીતનરામ માંઝી) બન્યા.






તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ જીતનરામ માંઝીને રાજ્યપાલ કેમ નથી બનાવતા. આ અંગે ભાજપે હંગામો શરૂ કરતાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


જીતનરામ માંઝીનો પલટવાર 


જીતનરામ માંઝીએ કહ્યું કે જાતિ ગણતરી કાગળ પર થઈ છે. જમીન પર કંઈ નથી. આ અમે કહેવા માગતા હતા, પરંતુ અમને તે કહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નીતિશ કુમારે માનસિક સંતુલન ગુમાવ્યું છે. આ કારણે તેઓ આમ કરી રહ્યા છે. 


ભાજપે આ માંગ કરી છે


બિહાર વિધાનસભા સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ભાજપે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષના નેતા અને ભાજપના નેતા વિજય સિંહાએ કહ્યું કે નીતિશ કુમારે જીતન રામ માંઝીનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં નીતિશ કુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ. સિંહાએ વધુમાં કહ્યું કે નીતિશ કુમારે દલિતોનું અપમાન કર્યું છે. તે દલિત વિરોધી છે.


લાલુ પ્રસાદ યાદવે અભિનંદન પાઠવ્યા હતા


બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે બિલ પાસ થવા પર બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા છે.