પટના: બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતીશ કુમાર આ વખતે વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષને માત આપવા માટે કોઈ કસર છોડવા નથી માંગતા. આજ કારણ છે કે વિપક્ષને ઘેરવા માટે તમામ રણનીતિઓ તૈયાર કરી છે, જેથી વિપક્ષને ચૂંટણીમાં નુકસાન પહોંચાડી શકાય. સમાજવાદી વરિષ્ઠ નેતા શરદ યાદવ ફરી જેડીયૂમાં સામેલ થાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.


સૂત્રો મુજબ, પૂર્વ કેંદ્રીય મંત્રી અને લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવ કેટલાક દિવસો પહેલા બીમાર થયા હતા અને 30 ઓગસ્ટે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. ટૂંક સમયમાં તેઓ બિહાર આવવાની સંભાવનાઓ છે.

સૂત્રોનો દાવો છે કે મુખ્યમંત્રી નીતીશ કુમારે શરદ યાદવને ફોન કરી તેમના સ્વાસ્થ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ શરદ યાદવના જેડીયૂમાં સામેલ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે જેડીયૂના મોટા નેતા શરદ યાદવને જઈને મળી ચૂક્યા છે. ત્યારબાદ તેમના જેડીયૂમાં પરત ફરવાની સંભાવનાઓને વધુ વેગ મળ્યો છે.