મુંબઈ: જલગાંવ જિલ્લાના ભુસાવલમાં ભાજપના નેતા અને કોર્પોરેટર રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હુમલો રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેમના ઘરની બહાર કરવામાં આવ્યો હતો.


જલગાંવ એસપી પંજાબરાવ ઉગાલેએ જણાવ્યું હતું કે, ખરાત, તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર રોહિત, પ્રેમ સાગર અને તેમના મિત્ર સુમિત ફેડરે પર ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે, હત્યા કરવા માટે હુમલાખોરે બંદૂક અને ચપ્પાનો ઉપયોગ કર્યો હતો. હત્યા કર્યાં બાદ હુમલાખોર ફરાર થઈ ગયા હતા. એસપીએ જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો કૌટુંબિક વિવાદનો લાગી રહ્યો છે. ત્રણ લોકોને અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી છે.

ઘટનાના સમયે મારામારી પણ થઈ હતી તેમાં બે આરોપી ઘાયલ થયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. હાલ ભૂસાવલના સમતા નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાથી ભુસાવલની સાથે આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોના મતે પરસ્પર ઝઘડામાં આ હત્યા થઈ છે.