નવી દિલ્હીઃ રામ મંદિર નિર્માણને લઇને અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ અને શિવસેના દ્ધારા બોલાવવામાં આવેલી ધર્મસભા દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મંદિરના મુદ્દાનો ઉપયોગ કરવામાં આવે નહી અને હિંદુઓની ભાવનાઓ સાથે રમત ના રમવી જોઇએ. કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા ઉમા ભારતીએ ઉદ્ધવ ઠાકરેના વખાણ કર્યા હતા. ઉમા ભારતીએ કહ્યું કે, રામ મંદિર પર ભાજપ એકલાની કોઇ પેટન્ટ નથી. ભગવાન રામ તમામના છે. ઉમા ભારતીએ કહ્યું કે, તે સમાજવાદી પાર્ટી, બસપા, અકાલી દળ, ઓવૈસી અને આઝમ ખાનને પણ રામ મંદિર નિર્માણ માટે આગળ આવવાની અપીલ કરી હતી.

ઠાકરેએ કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, અહીં મંદિર હતું, છે અને રહેશે. આ અમારી ભાવના છે. પરંતુ મંદિર બનશે ક્યારે? તેનો જલદી નિર્માણ કરવામાં આવે. હવે લોકસભા ચૂંટણીને લઇને કેટલાક મહિના બાકી છે. સંસદનું ફક્ત એક સત્ર બચ્યું છે. સરકાર વટહુકમ લાવે. શિવસેના હિંદુત્વને લઇને હંમેશા સાથે રહી છે અને આગળ પણ રહેશે. કાયદો લાવો અથવા વટહુકમ પરંતુ મંદિર અવશ્ય બનાવો. હિંદુઓની ભાવનાઓ સાથે રમત ના રમો.