ભોપાલઃ મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ લીધા વગર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક વિદેશી મહિલાથી પેદા થયેલો વ્યક્તિ રાષ્ટ્રવાદી ન હોઈ શકે. પ્રદેશ બીજેપી કાર્યાલયમાં એક કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે આ નિવેદન આપ્યું હતું.


એક સવાલ પર પત્રકારોને તેમણે કહ્યું, કોંગ્રેસે તેના ભૂતકાળમાં ડોકિયું કરવું જોઈએ. તેમનામાં ન તો બોલવાની સભ્યતા છે કે ન તો પાર્ટીમાં સંસ્કાર છે. તેમની પાર્ટીમાં દેશભક્તિ પણ નથી. હું એક વાત કહીશ કે જ્યારે બે દેશની નાગરિકતા લઇને રહેતા હોવ તો દેશભક્તિ ક્યાંથી આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશ સુરક્ષિત હાથમાં છે.

કોંગ્રેસના મીડિયા સેલના પ્રભારી અને પૂર્વ મંત્રી જીતુ પટવારીએ પ્રજ્ઞા ઠાકુરનું નામ લીધા વગર તેના પર વ્યંગ કરતું ટ્વિટ કર્યુ હતું. તેમણે લખ્યું, કોઈપણ દેશભક્ત આતંકવાદી ન હોઈ શકે. કોઈપણ ગોડસે ભક્ત દેશભક્ત ન હોઈ શકે. પટવારીએ આમ કહીને 2008 મહારાષ્ટ્ર માલેગાંવ બોંબ વિસ્ફોટ મામલાના આરોપીઓ પૈકી એક પ્રજ્ઞા ઠાકુરનો ઉલ્લેખ કર્યો હતો.

આ પહેલા પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તરફથી નવ વર્ષ સુધી આપવામાં આવેલા ત્રાસના કારણે આજે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહી છે. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બીજેપી કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે યોગ કર્યા બાદ પ્રજ્ઞાએ 2008માં થયેલા માલેગાંવ બોંબ વિસ્ફોટ મામલે નવ વર્ષ સુધી જેલમાં ગાળેલા દિવસોને યાદ કર્યા હતા.