Satyendar Jain Massage Row : જેલની અંદર આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા કરાવવામાં આવતા મસાજને લઈને ભાજપે ઘટનાને સરમજનક ગણાવતા આકરા પ્રહારો કર્યા છે. સત્યેન્દ્ર જૈન જૈનને મસાજ કરનાર ફિઝિયો થેરાપિસ્ટ બળાત્કારી હોવાનો અને જેલમાં રહીને પણ કેદીના કપડા નહીં પહેરવા પર પણ ભાજપે આરોપોની વણઝાર સર્જી દીધી છે. 


ભાજપના નેતા અને પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું છે કે, પહેલા તો અરવિંદ કેજરીવાલ સમગ્ર મામલે માફ માંગે અને તત્કાલ જૈનને મંત્રી પદેથી હટાવે. તેમને જણાવ્યું હતું કે, જૈનને માલિશ કરનારો વ્યક્તિ એક પોતે ગંભીર કેસનો આરોપી છે. તેના વિરૂદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત આરોપો લાગેલા છે. 


બેશરમ વ્યક્તિ કેજરીવાલને પણ પોતાના ગુરુ માને છે


ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, "બે દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલની હરકતો અને સત્યેન્દ્ર જૈનના મસાજની ઘટનાથી સમગ્ર ભારતની લોકશાહી શર્મશાર બની હતી. અમે કહ્યું હતું કે, આ આમ આદમી પાર્ટી નથી, આ સ્પા-મસાજ પાર્ટી છે. જો કોઈ અન્ય રાજકીય પક્ષ હોત અને કોઈ ભ્રષ્ટ અને અપ્રમાણિક પ્રધાન દ્વારા માલિશ કરવામાં આવી હોત તો તે પક્ષના વડાએ કાન પકડીને જનતાની માફી માંગી હોત. કહેત કે મને માફ કરજો, હું બંધારણ હેઠળ લીધેલા શપથનું પાલન કરી શક્યો નથી. મારા ભ્રષ્ટ મંત્રી જે કૃત્ય કરી રહ્યા છે, હું તેને તરત જ બરતરફ કરું છું.


ભાટિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, નિર્લજ્જતા પણ અરવિંદ કેજરીવાલને પોતાના ગુરુ માને છે અને અરાજક અપરાધિક પાર્ટી 'AAP'છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ટેક્ષચોરી કૌભાંડના આરોપી નંબર વન તેને યોગ્ય ઠેરવે છે અને કહે છે કે, કોઈની બીમારીની મજાક ના ઉડાવવી જોઈએ. 


ભાટિયાએ કહ્યું હતું કે... 


બીજેપીના પ્રવક્તાએ ભાટિયાએ કહ્યું હતું કે, જનતા પ્રશ્નોપૂછી રહી હતી કે એક નહીં પણ આ ચાર-ચાર લોકો જેલની અંદર શું કરી રહ્યા છે? મસાજ-ચંપી કેમ ચાલે છે? તે કેદીના કપડાં કેમ નથી પહેરતા? મિનરલ વોટર, ટીવી અને એસીની સુવિધા શા માટે લે છે? પરંતુ કોઈ જવાબ નથી મળી રહ્યો. જે દર્શાવે છે કે, આજે કેવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરી નિર્લજ્જતાથી એક એવા કૃત્ય કરે છે જે ખરેખર શરમજનક છે તેને પણ યોગ્ય ઠેરવે છે. .


ભાટિયાએ કરાવ્યું જેલના કાયદાનું ભાન


ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, એવા ઘણા સત્યો છે જે અમે તમારી સામે પણ રાખી શકીએ તેમ નથી પરંતુ એ ચોક્કસપણે જણાવવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે અરવિંદ કેજરીવાલે કોઈ જ વિલંબ વગર તુરંત જ 2 કામ કરવા જોઈએ. પહેલુ તો આખા દેશની માફી માંગવી જોઈએ. આ મંત્રી સત્યેન્દ્ર જૈનને મંત્રી પદે રહેવાનો અધિકાર નથી. તેમણે કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન કહે છે કે, તેમને કરોડરજ્જુની બિમારી છે તો પછી તેઓ જેલમાં માથામાં મસાજ થેરાપી કેમ કરાવી રહ્યાં છે? માથામાં કરાવવામાં આવી રહેલી થેરાપીને કરોડરજ્જુ સાથે કોઈ લેવાદેવા નથી. તમને સારવારની જરૂર હોય તો પણ પ્રિઝન એક્ટ છે, જેલ મેન્યુઅલ છે, તેના માટે પરવાનગી લેવી પડે છે. આ સારવાર માટે કોર્ટ દરમિયાનગીરી કરે છે અને પરવાનગી આપે છે.


રેપ કેસનો આરોપી કરી રહ્યો છે મસાજ


ભાટિયાએ કહ્યું હતું કે, જે વ્યક્તિ સત્યેન્દ્ર જૈનને મસાજ કરી રહ્યો છે-ચંપી કરી રહ્યો છે તે પોતે જ એક જઘન્ય અપરાધ કેસનો આરોપી છે. તેની સામે પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના પર કલમ ​​376 પણ નોંધાયેલ છે. તે વર્તમાન મંત્રી સત્યેન્દ્ર જૈન કે જેમને અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદારનું સર્ટિફિકેટ આપતા ફરે છે. આમ એક આરોપી બીજા આરોપીને મસાજ આપી રહ્યો છે.