કોલકતામાં અમિત શાહની રેલી, ભાજપ-ટીએમસી વચ્ચે પોસ્ટર વોર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Aug 2018 11:03 AM (IST)
કોલકતા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કોલકતામાં રેલી કરશે. આ પહેલા અમિત શાહના સભાસ્થળે મમતા બેનરર્જીની પાર્ટી ટીએમસીના કાર્યકર્તાઓએ પોસ્ટરો લગાવ્યા છે. અમિત શાહના પ્રવાસના કારણે એક બાજુ જ્યાં ભાજપના કાર્યકર્તાઓમાં જોશ જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ ટીએમસી કાર્યકર્તાઓ કથિત રીતે રેલીનો વિરોધ કરી રહ્યાં છે. બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે. અમિત શાહ કોલકતામાં એસ પ્લેનેટમાં રેલીને સંબોધિત કરશે. અમિત શાહનું ભાષણ બપોરે ત્રણ વાગ્યે થશે. આ પહેલા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં એક કરોડ કરતા વધારે ગેરકાયદેસર પ્રવાસી હોઈ શકે છે અને ભલામણ કરી છે કે તેમની ઓળખ માટે સરહદી રાજ્યોમાં એનઆરસી હોવું જોઈએ. જ્યારે રાજ્યના ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે પહેલા જ કહ્યું કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવશે તો આસામની જેમ એનઆરસી લાગૂ કરાશે. મમતા બેનરર્જી તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી દરમિયાન લોકસભાની 42 બેઠકોમાંથી 22 બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.