કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં એકવાર ફરી ભાજપ અને સત્તાધારી ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે લડાઇ થઇ હતી. શનિવારે સાઉથ 24 પરગના જિલ્લાના નોડાખલી ગામમાં ટીએમસી કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ ખેડૂત બિલના સમર્થનમાં રેલી કરી રહ્યા હતા. આ મામલામાં સાત ટીએમસી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં  આવી છે.




પશ્વિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન હિંસા સામાન્ય વાત છે. પરંતુ અહી રાજકીય દળોના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણના અહેવાલો આવતા રહે છે. આ અગાઉ  ગયા મહિને દક્ષિણ 24 પરગનાના રાધાનગર બજારમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક લડાઇ થઇ હતી. જેમાં હિંસક અથડામણને રોકવા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી  પણ તેમના પર પણ હુમલો કરાયો હતો જેમાં છ પોલીસ જવાન ઘાયલ થયા હતા.

બીજી તરફ શનિવારે હાથરસ ઘટનાને લઇને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેલી કાઢી હતી. મમતા બેનર્જીએ ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા દેશમાં તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભગવા પાર્ટી મહામારી છે જે સૌથી વધુ અનુસૂચિત જાતિઓને પ્રતાડિત કરે છે.