નવી દિલ્હીઃ જેપી નડ્ડાને ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપની દિલ્હી સ્થિત હેડઓફિસમાં સ્વાગત સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે થોડા સમય માટે આવ્યા નથી, આપણે સદીઓ સુધી દેશની સેવા કરવાની છે. જે આશાઓ સાથે પાર્ટીનો જન્મ થયો હતો તેને પૂર્ણ કર્યા વિના આપણે ચેનથી બેસીશું નહી. રાજનીતિમાં જે આદર્શો અને મૂલ્યોને લઇને આપણે ચાલ્યા હતા એ આદર્શો અને મૂલ્યોને લઇને અને રાષ્ટ્રની આશા અને આકાંક્ષાઓને લઇને ભાજપે પોતાનો વિસ્તાર કર્યો છે.


વડાપ્રધાન મોદીએ ભાજપને જીવતી જાગતી પાર્ટી ગણાવી હતી અને કહ્યું કે, આ ફક્ત સંખ્યા બળ પર બનેલી સૌથી મોટી પાર્ટી નથી પરંતુ જન સામાન્ય દિલોમાં જગ્યા બનાવનારી પાર્ટી બની ગઇ છે. પાર્ટીને લોકતાંત્રિક મૂલ્યોના આધારે  મજબૂતી મળતી રહે છે. આટલા ઓછા સમયમાં ભાજપે વિસ્તાર વધાર્યો. લોકોની આશાઓને પોતાની સાથે જોડી અને સમયના હિસાબે પરિવર્તન પણ કર્યુ છે.