મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાને એક દિવસ અગાઉ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાના સમર્થન વિના ભાજપ રાજ્યમાં સરકાર બનાવવામાં સક્ષમ નથી. ભલે શિવસેના 4-5 બેઠકો પર જીત મેળવે. એક ઇન્ટરવ્યૂમાં રાઉતે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી જે 124 બેઠકો પર ચૂંટણી લડી હતી તેમાંથી તે 100 બેઠકો પર જીત હાંસલ કરવામાં સફળ થશે. નોંધનીય છે કે ભાજપની સાથે ગઠબંધન કરનાર શિવસેનાએ 164 બેઠકો પર ભાજપ અને તેમના સહયોગી પક્ષોના ઉમેદવારનું સમર્થન કર્યું હતું. રાઉતે કહ્યું કે, ભાજપ શિવસેનાની સહાયતા વિના સરકાર બનાવી શકશે નહી પછી ભલે શિવસેનાએ 4-5 બેઠકો પર જીત હાંસલ કરી હોય. ભાજપ રાજ્યમાં 164 બેઠકો પર ચૂંટણી લડી છે જેમાં નાની સહયોગી પાર્ટીના ઉમેદવાર પણ સામેલ છે. આ ઉમેદવારોએ કમળના નિશાન પર ચૂંટણી લડી હતી. મતદાન આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને સરળતાથી બહુમત મળવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઇ પણ પક્ષને 145 બેઠકની જરૂર છે.