ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સૌરભ જોશી ચંડીગઢના નવા મેયર તરીકે ચૂંટાયા છે. ગયા વર્ષના વિવાદોમાંથી શીખીને વહીવટીતંત્રે પ્રિસાઇડિંગ ઓફિસર રમણીક સિંહ બેદીની દેખરેખ હેઠળ હાથ ઉઠાવીને મતદાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. 1996 પછી પહેલી વાર ભાજપને 18 મત, આપને 11 મત અને કોંગ્રેસને 7 મત મળ્યા હતા.  મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસ ખાતે મતદાન થયું. વિજય માટેનો જાદુઈ આંકડો 19 મત હતો. ત્રણેય પક્ષો (ભાજપ, કોંગ્રેસ અને આપ) એ ગઠબંધન બનાવવાને બદલે એકલા ચૂંટણી લડી હતી. 

જાહેર થયેલા પરિણામોમાં ભાજપના સૌરભ જોશીને 18 કાઉન્સિલર મત મળ્યા, જ્યારે આપના યોગેશ ઢીંગરાને 11 મત મળ્યા અને કોંગ્રેસના ગુરપ્રીત સિંહ ગબ્બીને 7 મત મળ્યા હતા. આમાં 6 કાઉન્સિલર મત અને સાંસદ મનીષ તિવારીનો એક મત સામેલ છે. બહુમતી માટે 19 મતોની જરૂર હોવા છતાં ત્રિકોમીય મુકાબલામાં સૌરવ જોશીને તેમના સૌથી વધુ મત (18) ના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

1996 પછી પહેલી વાર કાઉન્સિલરોએ મતપત્રનો ઉપયોગ કરવાને બદલે હાથ ઉંચા કરીને અને મૌખિક ઘોષણા કરીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી બધા કાઉન્સિલરોએ દસ્તાવેજો પર સહી પણ કરી હતી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી ગૃહમાં પહોંચ્યા અને મતદાન કર્યું. મતદાન પહેલાં તેમણે તેમના પક્ષના ઉમેદવારો સાથે મુલાકાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રિસાઇડિંગ ઓફિસર રમણીક સિંહે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કર્યા, જેથી ગયા વખતની જેમ કોઈ ગોટાળો ન થાય.

સૌરભ પંજાબ ભાજપના રાજ્ય મીડિયા વડા વિનીત જોશીના ભાઈ છે. ભાજપના જસમનપ્રીત સિંહ ચંડીગઢના સિનિયર ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. મતદાન પહેલાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના મેયરના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી ન હતી. મતદાન પહેલાં પ્રિસાઇડિંગ ઓફિસરે ઉમેદવારોને પૂછ્યું કે શું તેઓ પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગે છે પરંતુ કોઈ ઉમેદવારે તેમ કર્યું નહીં.

આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ મેયરની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા. મતદાન પહેલાં ભાજપ કાઉન્સિલરોની સંખ્યામાં આગળ હતો કારણ કે કોર્પોરેશનમાં તેના 18 કાઉન્સિલરો છે. કાઉન્સિલરો હોવા છતાં AAP અને કોંગ્રેસે પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ભાજપ સિવાય, AAP અને કોંગ્રેસ પાસે કેટલા કાઉન્સિલરો છે?

AAP 11 કાઉન્સિલરો સાથે બીજા સ્થાને છે, જ્યારે કોંગ્રેસ પાસે છ છે. વધુમાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પાસે પણ એક મત છે. ગૃહમાં કુલ 35 કાઉન્સિલરો છે અને ચંડીગઢના સાંસદે પણ એક મત આપ્યો છે, જેનાથી કુલ મત 36 થયો છે. બંને પક્ષો (AAP અને કોંગ્રેસ) હજુ પણ ભાજપને રોકવા માટે એકબીજાને સાથે આવવા માટે આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ બંને પક્ષો તરફથી કોઈ ગઠબંધન અથવા સાથે ચૂંટણી લડવાની કોઈ શક્યતા નહોતી કારણ કે આ પક્ષોએ પહેલાથી જ આ શક્યતાને નકારી કાઢી હતી.