ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભોપાલ પહોંચશે. સિંધિયાના સ્વાગત માટે  ભાજપે ભવ્ય તૈયારી કરી લીધી છે. રાજા ભોજ એરપોર્ટથી ભાજપના કાર્યાલય સુધી સિંધિયાનો રોડ શો કરવામાં આવશે.


ભાજપના કાર્યાલયમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો સ્વાગત કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. આ કાર્યક્રમ અનુસાર, સિંધિયા શુક્રવારે એટલે કે 13 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. સિંધિયાના ભોપાલ પહોંચતા અગાઉ તેમના સમર્થકોએ આખા શહેરમાં હોડિંગ્સ લગાવ્યા છે.

સિંધિયાના સ્વાગત માટે મધ્યપ્રદેશના ભાજપ કાર્યાલયમાં રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું છે. સાથે કાર્યાલયમાં મોટી સંખ્યામાં ખુરશીઓ લગાવવામાં આવી છે. એરપોર્ટથી સિંધિયાનો કાફલો ભાજપ કાર્યાલય પહોંચશે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે.