ખેડૂતોના સમર્થનમાં દેશના આ બૉક્સરે કહ્યું- સરકાર કાળો કાયદો રદ કરે નહીં તો ખેલ રત્ન એવોર્ડ પરત કરી દઈશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Dec 2020 03:47 PM (IST)
કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગઈકાલે (શનિવારે) થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. હવે ખેડૂતોના સમર્થનમાં બૉક્સર વિજેન્દર સિંહ પણ આગળ આવ્યા છે. વિજેન્દરે પ્રદર્શન સ્થળે જઈને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. તે સિવાય બોક્સર વિજેન્દર સિંહે ખેલ રત્ન પુરસ્કાર પરત કરવાના સંકેત પણ આપ્યા છે. વિજેન્દર સિંહે કહ્યું કે, જો સરકાર આ કાળા કાયદાને પરત નહીં લે તો હું સરકારનું રમતગમત ક્ષેત્રે સૌથી મોટું સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત કરી દઈશ. કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગઈકાલે (શનિવારે) થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત નિર્ણય મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશે ખેડૂતો સાથે વાત કરી હતી. સરકાર સાથે મીટિંગ બાદ બાદ ખેડૂત નેતાએએ કહ્યું હતું કે, સરકારે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. 9 ડિસેમ્બરે સરકાર અમને પ્રપોઝલ મોકલશે. તેના પર વિચારણા કર્યા બાદ બેઠક થશે. 8 તારીખે ભારત બંધ જરૂર રહેશે. આ કાનૂન ચોક્કસ રદ થશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, સરકાર તેમની માંગ નહીં માને તો તે રાષ્ટ્રીય રાજધાની દિલ્લી તરફ જતા રસ્તા બંધ કરી દેશે.