નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. ગઈકાલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું.


ગુજરાતીઓને લઈ શું કહ્યું યોગરાજ સિંહે

આ દરમમિયાન  ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ખેડૂત આંદોલનમાં જઇને ભડકાઉ ભાષણ આપ્યું હતું. યોગરાજસિંહના આ ભાષણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેઓ ગુજરાતીઓને લઇને પણ બકવાસ કરતા જોવા મળે છે. યોગરાજ સિંહ ગુજરાતીઓને લઇને કહી રહ્યા છે કે હું મુંબઇમાં ગુજરાતીઓ સાથે રહ્યો છું. તેમના પર વિશ્વાસ કરી શકાય નહીં. પછી ભલે તે માતા, બહેન અને દીકરીઓની કસમ ખાય તો પણ તેમના પર વિશ્વાસ કરાય નહીં.

આ ઉપરાંત વીડિયોમાં તેઓ હિંદુઓને લઇને વિવાદાસ્પદ નિવેદન આપે છે. યોગરાજ સિંહ કહી રહ્યા છે કે આ આવા લોકો છે જેઓ હાથ જોડીને પોતાની દીકરીઓની ડોલી મુગલોને આપી દેતા હતા. મુગલો ભારતની મહિલાઓને ઉઠાવીને લઇ જતા હતા વેચી મારતા હતા. તેઓ જાણતા નથી કે આપણે એ લોકો છીએ જે ભારતની દીકરીઓને મુગલો પાસેથી છોડાવીને લાવતા હતા. તેમણે આપણી સાથે હંમેશા દગો કર્યો છે.

મોદી સરકાર ખેડૂતો સાથેઃ નરેન્દ્ર સિંહ તોમર

શનિવારે ખેડૂતો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, અમે શંકાનું સમાધાન કરવા તૈયાર છીએ. ખેડૂતો સાથે સારા માહોલમાં ચર્ચા થઈ. ખેડૂત નેતાઓના સૂચન મળે તો સારું રહેશે. 9 ડિસેમ્બરે આગામી બેઠક યોજાશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે આંદોલનમાં સામેલ બાળકો અને વડીલો ઘરે જાય. એમએસપીમાં કોઇ પણ પ્રકારનો બદલાવ નહીં કરવામાં આવે. મોદી સરકાર ખેડૂતો સાથે છે. એમએસપી પર કોઈ ખતરો નથી.