મુંબઈ: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરૂદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. મુંબઈમાં શનિવારે જમાત-એ-ઈસ્લામી હિંદ CAA અને NRC વિરૂદ્ધ  કાર્યક્રમ કરશે.  જમાત-એ-ઈસ્લામી હિંદના આ કાર્યક્રમમાં શિવસેનાના નેતા સંજય રાઉત પણ સામેલ થશે.


જમાત-એ-ઈસ્લામી હિંદ, મરાઠી પત્રકાર સંઘ અને એસોસિએશન ઓફ પ્રોટેકશન ઓફ સિવિલ રાઈટ્સ મળીને આ કાર્યક્રમ કરી રહ્યાં છે. જમાત-એ-ઈસ્લામી હિંદના મુંબઈના અધ્યક્ષે કહ્યું કે સીએએ અને એનઆરસી વિરૂદ્ધ થનારા કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ સંજય રાઉતે સ્વીકાર્યુ છે અને તેઓએ કન્ફર્મ પણ કર્યુ છે. આ વિરોધ પ્રદર્શનમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ બીજી કોલેસ પાટિલ, વરિષ્ઠ વકીલ મિહિર દેસાઈ અને યુસુફ મુછાલા પણ સામેલ થાય તેવી શક્યતા છે.

શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલ પર લોકસભામાં સમર્થન આપ્યું હતું પરંતુ રાજ્યસભામાં મતદાન દરમિયાન વોકઆઉટ કર્યુ હતું. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં એનઆરસી લાગુ નહીં કરવા તેમજ સીએએ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ નિર્ણય લેવાશે તેવી વાત કરી હતી. સંજય રાઉત સતત સીએએ અને એનઆરસી વિરૂદ્ધ મોદી સરકાર પર પ્રહારો કરતા રહ્યાં છે.