રીવાઃ પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનારા મધ્યપ્રદેશના રીવાના બીજેપી સાંસદ ફરીથી ચર્ચમાં આવ્યા છે. બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાએ વિવાદિત નિવેદન આપીને ગાંધી પરિવારને આતંકી પાકિસ્તાનના ચેલા-ચેલી ગણાવી દીધા હતા.


નાગરિકતા કાયદાને લઇને દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને જનાર્દન મિશ્રાએ ગાંધી પરિવારને આડેહાથે લીધુ. તેમને ભાષાની મર્યાદા નેવે મુકીને જાહેરમાં બોલ્યા કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આતંકી પાકિસ્તાનના ચેલા-ચેલીઓ છે.



જનાર્દન મિશ્રાએ કહ્યું કે, કેટલાક લોકોને કાવતરા કરીને ઉકસાવવામાં આવી રહ્યાં છે, ત્રણ કરોડ ઘૂસણખોરોને ભારતમાં ભાગડવા માટે કેન્દ્ર સરકાર નાગરિકતા કાયદો લઇને આવી છે. આ લોકો એટલા માટે પ્રદર્શન કરી રહ્યાં છે, જેથી સરકારે આ કાયદો પાછો ખેંચવો પડે. આ બધુ એક કાવતરાનો ભાગ છે.

જનાર્દન મિશ્રાએ કહ્યું નાગરિકતા કાયદાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવાની અપીલ કરી રહ્યાં છે.