નવી દિલ્હીઃ નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇને પોતાનો જીવ ગુમાવી ચૂકેલા લોકોના પરિવારજનોને મળવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે રોકી લીધા હતા. આ બન્ને પ્રદર્શન બાદ ફાટી નીકળેલી હિંસામાં જીવ ગુમાવી ચૂકેલા અને પીડિતોના પરિવારજનો મળવા મેરઠ બોર્ડર પર પહોંચ્યા હતા. અહીં મેરઠ બોર્ડર પરથી જ બન્નેને પોલીસે પાછા મોકલી દીધા હતા.


તંત્રનુ કહેવુ છે કે, મેરઠમાં કલમ 144 લાગુ છે, એટલે કોઇને જવા નથી દઇ શકતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને અમને કોઇપણ ડૉક્યૂમેન્ટ નથી બતાવ્યા પણ જતાં રોક્યા છે. જોકે, બાદમાં તંત્રના આશ્વાસન બાદ બન્ને નેતાઓ દિલ્હી પરત જવા રવાના થઇ ગયા છે. આ પહેલા પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારો સાથે ફોન પર વાત કરી હતી.


કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, અમારા નેતાઓનો ઉદેશ્ય માત્ર એટલો જ હતો કે પીડિતોના પરિવારજનો સાતે મુલાકાત કરે. અમે ઇચ્છતા હતા કે તેમની જેટલી મદદ થઇ શકે તેટલી કરવામાં આવે. પણ તંત્ર તરફથી કહેવામાં આવ્યુ કે ત્યાં માહોલ ખરાબ છે, પથ્થરમારો થઇ રહ્યો છે, એટલે અમે સ્થિતિને બગાડવા નથી માંગતા. તંત્રએ કહ્યું કે સ્થિતિ સામાન્ય થાય ત્યારે અમે તમને જાતેજ લઇ જઇશુ.